ગુજરાત
News of Friday, 11th June 2021

સુરત : બેડરૂમના એસીમાં વિસ્ફોટ બાદ આગ લાગતા દંપતી અને બાળક સહિત ચાર દાઝી ગયા

સુરત: અંબાજી રોડ પરના એક બિલ્ડીંગના બીજા માળે બેડરૂમની અંદર એસીમાં શોર્ટ સર્કિટ થવાના કારણે વિસ્ફોટ થયા બાદ આગ લાગતા એક દંપતી સહિત પરિવારના ચાર સભ્યો દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ધડકનો અવાજ સાંભળી આજુ બાજુના રહીશો બહાર દોડી આવેલ અને બચાવ માટે મદદરૂપ થયા હતા.

અંબાજી રોડ ઉપર આવેલ ચોર્યાસી ડેરીની બાજુમાં ૪ માળની એક બિલ્ડીંગ છે. ગત મોડી રાત્રે શોર્ટ સર્કિટ થતા બ્લાસ્ટ થયો હતો અને આગ લાગતા બેડરૂમમાં સુતેલા અક્ષય પ્રવિણચંદ્ર પંચાલ (ઉ.૫૫),પત્ની જયશ્રીબેન અક્ષય પંચાલ (ઉ.વ.૫૦ ),નેન્સી કૌશલ ઠક્કર (ઉ.વ.૩૨) અને રિયાન્સ (ઉ.વ.૨) દાઝી ગયા હતા. જેના કારણે આ ચારેય  બૂમો પાડવા લાગ્યા હતા. દાઝી ગયેલા દંપતિ સહિત આ ચારેયને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમા ખસેડાયા હતા. ફાયરબ્રિગેડને જાણ થતા ઘાંચી શેરી,કતારગામ અને નવસારી બજાર ફાયર સ્ટેશનથી ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને એક કલાકમાં આગ પર કાબુ મેળવી લેવામા આવ્યો હતો.

(8:31 pm IST)