પોઇચા નીલકંઠધામના દ્વાર ખૂલ્યા : દર્શન, પ્રદર્શન, પ્રસાદ વગેરે લાભ
માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સ ફરજિયાત : પ્રભુ સ્વામી
રાજકોટ તા. ૧૧ : નર્મદા કિનારે આવેલ નીલકંઠધામ પોઇચા શ્રી સ્વામિનારાયણ મંદિરના દર્શન ભાવિકો માટે ખુલ્લા કરવામાં આવ્યા છે. શ્રી પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરવુ ,ડિસ્ટન્સ રાખવું વગેરે નિયમોના પાલન સાથે ૧૨ તારીખ ને શનિવારના રોજથી ભાવિકો દર્શનનો તેમજ ભોજન પ્રસાદ અને રાત્રિનિવાસનો લાભ લઇ શકે છે.
ઉનાળાની ગરમી અને વૈશાખ માસના અંતિમ દિવસ અમાસને દિવસે શ્રી નીલકંઠ ભગવાનને સંતોએ ચંદન ઘસીને ચંદનનાં વસ્ત્રો ધારણ કરાવી વિશેષ પૂજા કરી હતી.
તારીખ ૧૨ ને શનિવારના રોજથી નિત્ય સવારે ૫-૨૫ કલાકે મંગળા આરતી, ૧૦૮ નર્મદા જળના ઔષધિઓ યુકત કળશનું પૂજન, બાદ પંચામૃતથી ભગવાનને અભિષેક સંતો દ્વારા કરવામાં આવશે.
૭-૪૫ કલાકે શણગાર આરતી, ૧૦-૩૦ રાજભોગ થાળ, ૧૧-૧૦ કલાકે રાજભોગ આરતી ૧૨-૧૫ કલાકે ઠાકોરજી વિશ્રામ કરશે.
૩.૩૦ વાગે ઠાકોરજી જાગશે, ૦૬.૧૫ મિનિટે હાથી સાથે રથયાત્રા નીકળશે. ૭-૦૦ વાગે અતિ રમણીય દર્શનીય સંધ્યા આરતીનો લાભ મળશે . ૮- ૩૦ કલાકે ભગવાન શયન કરશે.
જોવા , જાણવા અને માણવા જેવું સહજાનંદ યુનિવર્સલ સાંસ્કૃતિક પ્રદર્શન તારીખ૧૨ થી ખુલ્લું થશે. જેમાં બપોરના ૧-૦૦ વાગ્યાથી સાંજના ૭-૦૦ વાગ્યા સુધી પ્રવેશ મેળવી શકાશે.
ગંગા દશહરાના પવિત્ર દિવસોમાં નર્મદા સ્નાનનો લાભ તેમજ કુબેર ભંડારી ભગવાનના દર્શન પણ સવારના ૭ થી સાંજના ૭ વાગ્યા સુધી થશે.