ગુજરાત
News of Friday, 11th June 2021

આઝાદી ના 73વર્ષ બાદ કુંવરપરા ગામને જોડતો ડામર રોડ બનતા ગ્રામજનો મા આનંદની લાગણી

કુંવરપુરા ગ્રામ પંચાયતને 70 વરસોમાં પ્રથમવાર ગ્રામ પંચાયતનો દરજ્જો મળ્યા બાદ વિકાસના નવા દ્વાર ખુલ્યાછે : સરપંચ નિરંજન વસાવા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આઝાદી ના 73વર્ષ પછી નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કુંવરપરા ગામને જોડતો ડામરનો નવો રસ્તો બનતા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી છે. ગામના સરપંચ અને સરપંચ પરિષદ ગુજરાત દક્ષિણ ઝોનના પ્રમુખ નિરંજનભાઈ વસાવાએ જણાવ્યું હતું કે કુંવરપુરા ગ્રામ પંચાયતને 70 વરસોમાં પ્રથમવાર ગ્રામ પંચાયતનો દરજ્જો મળ્યા બાદ વિકાસના નવા દ્વાર ખુલ્યાછે.

એ પહેલા અમારા ગામમા સારા રસ્તા ન હતા, ગામનો વિકાસ થયો ન હતો જેમાં ખાસ કરીને ચોમાસામાં રસ્તો ધોવાઈ જતા કાચો રસ્તો હોવાથી અમારા ગામના લોકોને અને ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડતી હતી જ્યારે કોઈ બીમાર દર્દી હોય તો તેમને કુંવરપુરા જૂના ગામમાં 108 પણ જઈ શકે એવી પરિસ્થિતિ ન હતી જેથી કરીને ગામનો સંપર્ક તૂટી જતો હતો. ખાસ કરીને બીમાર દર્દીઓ અને ઇમરજન્સી સેવા માટે 108 ગામમા આવી શકે તેમ ન હતું,હવે નવો રસ્તો બનતા કોરોનામા આરોગ્યની સુવિધા મળતી થઈ જશે.
તેમજ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અમારી ગ્રામ પંચાયતનો દરજ્જો મળ્યો અને દિવસેને દિવસે સરકારની વિવિધ યોજનાઓ નો લાભ મેળવી રહ્યા છે.રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની દરેક યોજનાઓનો લાભ લઇ રહ્યા છે. અમારી ગ્રામ પંચાયતમાં આઝાદીના 70 વર્ષ દરમિયાન જે વિકાસ ના કામો થયા નથી, એ તમામ વિકાસના કામો આજે રાજ્ય સરકાર અને સાંસદ સભ્ય મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુર લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા  તેમજ જિલ્લા સંગઠન ના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ તેમજ અન્ય હોદ્દેદારો ના સહયોગથી અમારા ગામમાં ડામર રસ્તાનું તેમજ માળખાકીય સુવિધાઓ  જેવા વિવિધ પ્રકારના વિકાસ ના કામો થઈ રહ્યા છે.

(12:54 am IST)