પાંડેસરામાં દુકાનો-મકાનો સીલ કરતાં ભારે હોબાળો
વૈકલ્પિક વ્યવસ્થા કરવા માગણી
સુરત, તા. ૧૦ : સુરત કોર્પોરેશન દ્વારા પાંડેસરા એલઆઈજી આવાસમાં રહેતા રહીશોને મકાન અને દુકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. નોટિસનો ઘણો સમય પસાર થઇ ગયા બાદ પણ રહીશોએ મિલકત ખાલી ન કરતાં કોર્પોરેશનના ટીમના અધિકારીઓએ આજે મકાનો અને દુકાનોને સીલ મારવાની કામગીરી શરૂ કરી દેતા રહીશોએ ભારે હોબાળો મચાવી દીધો હતો. રહીશોએ રજૂઆત કરી હતી અમને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો.
સુરત શહેર માં અનેક જર્જરિત મિલકતો જોવા મળી રહી છે. ચોમાસા દરમિયાન ભયજનક ઇમારતો ધરાશાયી થવાની શક્યતાને ધ્યાનમાં લેતા સુરત કોર્પોરેશન દ્વારા પાંડેસરા એલઆઈજી આવાસમાં રહેતા રહીશોને મકાન અને દુકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. નોટિસનો ઘણો સમય પસાર થઇ ગયા બાદ પણ રહીશોએ મિલકત ખાલી ન કરતાં કોર્પોરેશનના ટીમના અધિકારીઓએ આજે મકાનો અને દુકાનોને સીલ મારવાની કામગીરી શરૂ કરી દેતા રહીશોએ ભારે હોબાળો મચાવી દીધો હતો.
રહીશોએ જણાવ્યું હતું કે અહી ૨૨૬૦ જેટલા પરિવારો રહે છે. અને તેઓની એક જ માંગ છે કે તેઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી દેવામાં આવે. હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે આવા સમયમાં આ તમામ પરિવારો ક્યાં જશે તે એક મોટો સવાલ છે.