ગુજરાત
News of Tuesday, 11th June 2019

મહેમદાવાદમાં બીમારીથી કંટાળી એમજીવીસીએલના કર્મચારીએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

મહેમદાવાદ:પંથકમાં એમજીવીસીએલમાં નોકરી કરતા આધેડે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. રાત્રીના સમયે પુત્ર સાથે ઘરના ઉપરના માળે સુવા ગયેલ પીતાએ સવારે મોકો મળતા જ પંખે લટકી જીવન ટૂંકાવી લીધુ હતુ. સમગ્ર બનાવને પગલે મહેમદાવાદ શહેરમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી. 

સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ મહેમદાવાદ એમજીવીસીએલમાં ઇલેકટ્રીશીયનની નોકરી કરતા મહેન્દ્રભાઇ રમેશચંદ્ર ભાવસારે (ઉ.૪૫)ગત રાત્રીના સમયે પોતાના ૧૫ વર્ષીય પુત્ર સાથે ઘરના ઉપરના માળે સુવા માટે ગયા હતા. સવારે સાતેક વાગ્યાના અરસામાં પુત્ર નહાવા માટે નીચે ગયો હતો, જેણે પરત ઉપર આવી દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા દરવાજો અંદરથી બંધ હતો. જેથી તેણે બારીમાંથી અંદર ડોકીયુ કરતા પિતા પંખા સાથે લટકી ગયેલા અને શરીર હવામાં લટકતુ હોવાનું જોયુ હતુ. તુરંત તેણે આસપાસના લોકોને બૂમો પાડી બોલાવી લેતા પડોસીઓ અને પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોચી ગઇ હતી. પંખા સાથે લટકીને આત્મહત્યા કરનાર મહેન્દ્રભાઇના મૃતદેહને સરકારી દવાખાને લઇ જતા તેઓને મૃત જાહેર કરાયા હતા. 

(5:32 pm IST)