ગુજરાતમાં 'વાયુ' વાવાઝોડાનું સંકટ : રોરો અને કાર્ગો સર્વિસ બંધ : તમામ બંદરોના કર્મચારીઓની રજા રદ
કલાકની 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે : જરૂર પડ્યે સ્થળાંતર કરવામાં આવશે
ગાંધીનગર : 13મી જૂનના રોજ વહેલી સવારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠથી 'વાયુ' વાવાઝોડું પસાર થશે. આ દરમિયાન કલાકની 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સંભવિત વાવાઝોડાને પગલે ગુજરાતનું તંત્ર સજ્જ થયું છે
મુખ્ય સચિવ જે.એન. સિંઘ અને પોર્ટ તેમજ ટ્રાન્સપોર્ટના પ્રિન્સિપલ સેક્રેટરી સુનયના તોમરે ગુજરાત સાથે આગામી દિવસોમાં અથડાનાર 'વાયુ' વાવાઝોડા વિશે માહિતી આપી હતી. તકેદારીના ભાગરૂપે તમામ બંદરોના કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે, તેમજ રોરો અને કાર્ગો સેવાને બંધ કરી દેવામાં આવી છે.
મુખ્ય સચિવ જે.એન.સિંઘે જણાવ્યું કે, સંભવિત વાવાઝોડાને પગલે આર્મી, નેવી, કોસ્ટગાર્ડ સાથે સંપર્ક કરવામાં આવ્યો છે. દરેક જિલ્લામાં તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. જો જરૂર પડશે તો દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્થળાંતર શરૂ કરવામાં આવશે. 13મી તારીખે સવારે વાવાઝોડું ગુજરાતના કાંઠા વિસ્તારમાં ટકરાવાની સંભાવના છે.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઓડીશાના મુખ્યમંત્રી સાથે વાતચીત કરીને વાવાઝોડાની તૈયારીઓ અંગે માહિતી મેળવશે.