ગુજરાત
News of Tuesday, 11th May 2021

અમદાવાદ સિવિલમાં નિવૃત્ત થયેલો નર્સિંગ સ્ટાફ ફરીવાર દર્દીઓની સેવા અર્થે ફરજ પર હાજર થયો

કોવિડ મહામારીમાં આરોગ્યકર્મીઓ અગ્રેસર : ક્ષેત્ર પ્રત્યેની વફાદારી અને સમાજ પ્રત્યેની લાગણીથી નર્સિંગ સ્ટાફ ફરીથી ફરજ નિભાવી રહયો છે

ગાંધીનગર: કાલે તા.12મી મેના દિવસને સમગ્ર વિશ્વમાં “નર્સ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. કોવિડ મહામારીમાં આરોગ્યકર્મીઓ અગ્રેસર રહ્યા છે. જીવની પરવા કર્યા વિના દર્દીઓને બચાવવા માટે અવિતર સંઘર્ષ કરતા રહ્યાં છે. રાજ્ય, દેશ અને દુનિયાના તબીબો, નર્સિંગ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓએ ઘાતક વાયરસથી માનવજાતને બચાવવા માટે સતત મથતા રહ્યા છે. Nursing Staff Of Civil

કેટલોક સ્ટાફ તબીબી સેવામાંથી નિવૃત્ત થઈ ગયો હતો. એક સાદ પડતાં જ એક પણ મીનીટનો વિચાર કર્યા વગર તેઓએ ફરજ પર હાજર થઇને તેમના ક્ષેત્ર પ્રત્યેની વફાદારી અને સમાજ પ્રત્યેની લાગણી વ્યક્ત કરી છે. તેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અગાઉ ફરજ બજાવતા વિદુલાબહેન પટેલ, ભારતીબહેન મહેતા અને અંજનાબહેન ક્રિશ્ચિયન તેમના ઉત્તમ ઉદાહરણ છે. તેઓ દ્રઢપણે માને છે કે, માનવસેવા માટેનો આ ઉત્તમ અવસર છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ વિદુલાબેન પટેલે ૩૪ વર્ષની સેવા બાદ ૩૦ એપ્રિલ, ૨૦૨૧ના રોજ નિવૃત્ત થયા હતા, પણ હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને ઓળખીને તે સ્વૈચ્છીક રીતે સેવામાં જોડાયા છે.

વિદુલાબહેને ૧૯૮૬માં સિવિલમાં ફરજ પર જોડાયા હતા, તે ત્રણ દાયકાની કામગીરી બાદ તેમને સિવિલ હોસ્પિટલમાં નવી ઈનિંગની શરુઆત કરી છે. આ અંગે વિદુલાબહેન કહે છે : ”આ કપરા સમયમાં ફરજ બજાવવા અને યથાશક્તિ યોગદાન આપવા માટે હું તત્પર છું.“ વિદુલાબહેનની મુખ્યત્વે કામગીરી સ્ટાફ મેનેજમેન્ટની છે.

 

વિદુલાબહેનની જેમ જ ભારતીબહેન મહેતા પણ નિવૃત્તિ બાદ ફરી સિવિલ મેડિસીટીમાં સ્થિત ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં એ- ૪ વોર્ડમાં ફરજ બજાવે છે. ભારતીબહેન કહે છે : “ મને અહીં કોવિડના દર્દીઓની સેવાનો મોકો મળ્યો તેની ખુશી છે.”

સિવિલ હોસ્પિટલમાં ૨૫ વર્ષ સેવા બાદ નિવૃત્ત થયેલા અંજનાબહેન ક્રિશ્ચિયન પણ ફરી સેવારત થયા છે. હાલ તેઓ ઈ.એન.ટી વિભાગમાં કામ કરે છે. જેમાં મોટાભાગે મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સારવાર થાય છે. અંજનાબહેન કહે છે આ પરિસ્થિતિમાં દર્દીઓને મદદરુપ થવાનો આનંદ અનેરો હોય છે.” Nursing Staff Of Civil

આ અંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી કહે છે કે, કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં તબીબોની લગોલગ નર્સિંગ સ્ટાફની ભૂમિકા પણ ચાવીરૂપ રહી છે. સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલ અને મંજુશ્રી હોસ્પિટલમાં ૧૫૭૪ જેટલો નર્સિંગ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં તહેનાત રહે છે. અત્યાર સુધીમાં ૪૦૩ જેટલા નર્સિંગ સ્ટાફ કોરોનાથી સંક્રમિત થયા બાદ પણ એ જ ઉત્સાહ સાથે પુનઃ ફરજ પર હાજર થયા છે.

(11:05 pm IST)