ગુજરાત
News of Tuesday, 11th May 2021

યુનાઇટેડ નર્સિંગ ફોરમ દ્વારા નર્સીગ ડે દિવસે આંદોલન ;કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવશે.

રૂ.4200 ગ્રેડ પે અને ખાસ ભથ્થા પેટે માસિક રૂ.9600 ચુકવવા, નર્સીગ સ્ટુડન્ટસમાં ડિપ્લોમા દરમિયાન પ્રતિ માસ રૂ.15,000 સ્ટાઇપેન્ડ આપવા અને નર્સિંગની 4000 જગ્યા ભરવા માંગણી

અમદાવાદ :યુનાઇટેડ નર્સિંગ ફોરમ દ્વારા 12મી મેના રોજ નર્સીગ ડેના દિવસે આંદોલનની જાહેરાત કરી છે. ફોરમ દ્વારા રૂ.4200 ગ્રેડ પે અને ખાસ ભથ્થા પેટે માસિક રૂ.9600 ચુકવવા માગણી કરી છે. નર્સીગ સ્ટુડન્ટસમાં ડિપ્લોમા દરમિયાન પ્રતિ માસ રૂ.15,000 સ્ટાઇપેન્ડ ચૂકવવા માંગણી કરી છે સાથે રાજ્યમાં નર્સીગની 4,000 જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરવા માટે રજુઆત કરી છે.

યુનાઇટેડ નર્સીગ ફોરમ દ્વારા વિવિધ માંગણીઓને લઈ આગામી 12મી મેના દિવસે એક દિવસ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવશે. દર્દીઓને તકલીફ ન પડે એ રીતે વિવિધ હોસ્પિટલો ખાતે ધરણાં અને પ્રદર્શન યોજી વિરોધ નોંધાવશે. જો સરકાર માંગ નહિ સંતોષે તો 17મી સુધી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરાશે જ્યારે 18મીએ એક દિવસ પોતાની ફરજનો બહિષ્કાર કરી પ્રતીક હડતાળ પાડશે.

યુનાઇટેડ નર્સીગ ફોરમના પ્રેસિડેન્ટ દીપકમલ વ્યાસ અને સેક્રેટરી દેવીબેન દાફડાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આજરોજ અમદાવાદ ખાતે રાજ્યભરનાં દરેક જિલ્લા પ્રતિનિધિઓની એક બેઠક યોજી હતી. છેલ્લા એક વર્ષથી પોતાની કે પરિવારની ચિંતા કર્યા વગર કોવિડની સારવારમાં નર્સીગ સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. આ દરમિયાનમાં કેટલાય નર્સીગ સ્ટાફ કોવિડ સંક્રમિત થયો છે તો કેટલાક નર્સ શહીદ પણ થયા છે.

રાજ્ય સરકારને આજદિન સુધી અનેક વખત રજૂઆતો કરી છતાં નર્સીગ સ્ટાફ પ્રત્યે ઉદાસીન અને ઉપેક્ષિત વલણ દાખવવામાં આવી રહ્યું છે આથી, નાછૂટકે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવી રહ્યો છે. 12મી મેના રોજ નર્સીગ ડેના દિવસે આંદોલનનો આરંભ કરશે. 12મીથી 17મી સુધી કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવશે જ્યારે 18મીએ એક દિવસની પ્રતીક હડતાળ કરાશે.

(9:21 pm IST)