ગુજરાત
News of Tuesday, 11th May 2021

કડીમાં લક્ઝરી અને રિક્ષાની વચ્ચે અકસ્માત થતાં બેનાં મોત

સસરા અને પુત્રવધૂનું મોત : અમદાવાદમાં રહેતો પરિવાર પોતાના વતન ચાણસ્માના રૂપપુર ગામે માતાજીને ધજા ચઢાવવા માટે ગયો હતો

મહેસાણા,તા.૧૧ :  કડીનાં ચડાસણા પાટિયા પાસે લકઝરી બસ અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મહેસાણા- અમદાવાદ હાઈવે પર નંદાસણ નજીક ચડાસણા પાટિયે લકઝરીની ટક્કરે રિક્ષા પલટી ગઇ હતી. આ ગોઝારા અકસ્માતમાં સસરા અને પુત્રવધૂનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે અન્ય ૪ લોકો ઘાયલ છે.

નંદાસણ પોલીસે લકઝરી ચાલકને ઝડપી પાડીને તેની સામે ગુનો નોંધ્યો છે. અમદાવાદમાં રહેતો પરિવાર પોતાના વતન ચાણસ્માના રૂપપુર ગામે માતાજીને ધજા ચઢાવવા ગયો હતો. ત્યાંથી પરત ફરી રહ્યાં હતા ત્યારે મહેસાણા- અમદાવાદ હાઈવે પર નંદાસણ નજીક ચડાસણા પાટિયે સોમવારે સાંજે લકઝરીની ટક્કરે રિક્ષા પલટી ખાતાં સસરા અને પુત્રવધૂનું ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે બાળકો સહિત ૪ને ઈજા થઇ હતી. હાલ ઇજાગ્રસ્તોને કલોલની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવાયા છે.

જ્યારે મૃતદેહોનાં પીએમ માટે નંદાસણ સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા છે. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના સાબરમતી સ્થિત ગણેશનગર ખાતે રહેતા રૂપપુરના વતની રાવળ શંભુભાઈ લક્ષ્મણભાઈ પરિવાર સાથે સોમવારે રિક્ષામાં રૂપપુર ખાતે માતાજીની ધજા ચઢાવીને પરત ફરી રહ્યાં હતા. તેઓ પરત પોતાના ઘરે અમદાવાદ આવી રહ્યાં હતા.

ત્યારે સાંજના નંદાસણથી આગળ છત્રાલ તરફ જતા રોડ પર ચડાસણા પાટિયા નજીક સામેથી આવતી લકઝરી બસે રિક્ષાને ટક્કર મારતાં રોડની બાજુમાં ચોકડીમાં પલટી ખાઈ ગઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં રિક્ષામાં સવાર શંભુભાઈ રાવળ અને તેમની પુત્રવધૂ આશાબેનનું ઘટના સ્થળે મોત થયું હતું.

જ્યારે શંભુભાઈના પુત્ર, પત્ની અને પૌત્ર, પૌત્રીઓ સહિત ૪ને ગંભીર ઈજા થતાં કલોલ સારવાર માટે ખસેડાયા હતા.આ ગોઝારા અકસ્માતમાં રિક્ષામાં સવાર શંભુભાઈ રાવળ અને તેમની પુત્રવધૂ આશાબેનનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે શંભુભાઈના પુત્ર, પત્ની અને પૌત્ર, પૌત્રીઓ સહિત ૪ને ગંભીર ઈજા થતાં કલોલ સારવાર માટે ખસેડાયા હતા. આ ગમખ્વાર અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતા. જોકે, નંદાસણ પોલીસ ઘટનાસ્થળે પહોંચતા પરિસ્થિતિ થાળે પાડી હતી.

(9:18 pm IST)