ગુજરાત
News of Tuesday, 11th May 2021

ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિના સામના માટે વહિવટીતંત્રની સજ્જતાની ઓનલાઈન સમીક્ષા કરતા મુખ્ય સચિવ ડૉ. અનિલ મુકિમ

ચોમાસા દરમિયાન સંભવિત કુદરતી આપત્તિ સામે ગુજરાતનું વહિવટીતંત્ર કોરોના સંક્રમણ સંબધિત સંપૂર્ણ તકેદારી સાથે સુસજ્જ : કેન્દ્રીય સુરક્ષા એજન્‍સીઓ, લશ્કરની ત્રણેય પાંખ, રાજ્યનું આપત્તિ વ્યવસ્થા૫નનું માળખું અને વહિવટીતંત્રનો સંકલિત પ્રયાસ

અમદાવાદ :રાજ્યના મુખ્ય સચિવ ડૉ.અનિલ મુકિમે રાજ્યના તમામ વિભાગો અને કેન્દ્રીય સુરક્ષા એજન્‍સીઓ, લશ્‍કરની ત્રણેય પાંખના પ્રતિનિધિઓ, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સહિત વહિવટી તંત્રના તમામ અધિકારીઓ સાથે આજે  ગાધીનગરથી વેબેક્ષના માધ્યમ દ્વારા ઓનલાઈન બેઠક યોજી ચોમાસુ દરમિયાન સંભવિત આપત્તિના સામના માટેનું આગોતરૂ આયોજન અને સજ્જતાની સમીક્ષા કરી હતી. 

‘’ તાપી હોલ, સ્વર્ણિમ સંકુલ -૧ ગાંધીનગર ખાતે  યોજાયેલી આ‘‘ પ્રિમોનસુન પ્રિપેર્ડનેસ ’’ અંગેની બેઠકના અઘ્યક્ષસ્થાનેથી મુખ્યસચિવએ જણાવ્યુ હતુ કે સંભવિત આપત્તિના સામના માટેની જેટલી આગોતરી સજ્જતા કેળવાય તેટલી ઝડપથી આપણે કોરોના સંક્રમણ સંબધિત સંપૂર્ણ તકેદારી સાથે રાહત-બચાવની કામગીરી કરી શકીશુ અને ઓછામાં ઓછું નૂકસાન થાય તેવી સ્થિતિનું નિર્માણ થઇ શકશે. તેમણે તમામ વિભાગોને આપત્તિ વ્યવસ્થા૫ન પ્લાન જરૂરી ફેરફાર સાથે તૈયાર રાખવા જણાવી રાજ્ય વહિવટી તંત્ર, કેન્દ્ર  સરકારની કચેરીઓ, સુરક્ષા એજન્સીઓ વચ્ચેના  અસરકારક સંકલન ઉપર પણ તેમણે ભાર મૂક્યો હતો. 
  આ બેઠકમાં કેન્દ્રિય હવામાન વિભાગના ડિરેક્ટર શ્રીમતી મનોરમા મોહંતીએ આગામી ચોમાસાની અસર વિશે વિસ્તૃત  માહિતી આપી હતી. હવામાન ખાતાના અત્યાર સુધીના અભ્યાસ અનુસાર દેશભરમાં સારો વરસાદ વરસશે. તેમણે એમ પણ જણાવ્યુ  હતું કે, ગુજરાતમાં ૫ણ સારો વરસાદ રહેશે.

  મહેસૂલ વિભાગના અઘિક મુખ્ય સચિવ પંકજકુમારે આ બેઠકમાં રાહત બચાવ સંદર્ભે પણ વિસ્તૃત ચર્ચા વિચારણા કરી માર્ગદર્શન આપ્યુ હતું. તેમણે ઉમેર્યુ કે, સંભવિત ચોમાસાની પરિસ્થિતી સંદર્ભે રાજ્યના તમામ   જિલ્લાઓમાં આગામી ૧લી જૂનથી   ફ્લડ કન્ટ્રોલ રૂમ કાર્યરત થશે.  તેમણે ઉમેર્યુ કે,પરિસ્થિતીને પહોંચી વળવા માટે રાજ્યમાં  એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમો  તેનાત રહેશે.. જેમાં એક ટીમ રાજકોટ, એક ટીમ સુરત અને ત્રણ ટીમ ગાંઘીનગર ખાતે પ્રી ડીપ્લોય થશે અને  બાકીની ટીમો  ગમે ત્યારે  જરૂર પડે ત્યારે રાહત-બચાવ કામગીરી માટે અદ્યતન સાધનો સાથે ખડેપગે ઓનવ્હીલ રાખવામાં આવી છે.  

  એસ.ડી.આર.એફ ની ૧૧ ટીમો ૫ણ રાહત બચાવ કામગીરી માટે સજજ રાખવામાં આવેલ છે. ઉપરવાસના વિસ્તારોમાં વધુ વરસાદ સમયે સતર્કતા સંદર્ભે પગલાં ભરવા ઉપરાંત રાજ્યના તમામ વિભાગો દ્વારા કોરોના મહામારીને ધ્યાનમાં રાખી આપત્તિ વ્યવસ્થા૫ન પ્લાનને અદ્યતન કરાયો હોવાની માહિતી આપી હતી.

આ ઉ૫રાંત લશ્કરની ત્રણેય પાંખ ભારે વરસાદ દરમ્યાન સંભવિત ડીઝાસ્ટરની  પરિસ્થિતિને  પહોંચી વળવા રાજ્ય વહીવટીતંત્ર  સાથે સંકલનમાં હોવાનું પણ તેમણે જણાવ્યુ હતું. વઘુમાં બી.એસ.એફ ની ટીમો, રેપીડ એકશન ફોર્સ (ગુજરાત ફ્રન્ટીયર) ની ટીમ તથા તેની મહિલા ટીમો ૫ણ  રાહત બચાવ કામગીરી માટે સજજ રાખવામાં આવેલ છે.
આ બેઠકમાં મુખ્ય સચિવએ આપત્તિ સામે સંભવિત વિવિધ વિભાગોની સજ્જતાની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. તેમણે આપત્તિ વ્યવસ્થા૫નમાં લોકોની સતર્કતાને મહત્વની ગણાવી આગામી ચોમાસાની ઋતુમાં પૂર કે વાવાઝોડા જેવી કુદરતી આપત્તિઓના સામના માટેની પૂર્વ તૈયારી માટે લોકોને પણ જાગૃત કરવા જણાવ્યુ  હતું. આ બેઠકમાં સામાન્ય વહીવટ વિભાગના અઘિક મુખ્ય સચિવ, કમલ દયાની ,રાહત કમીશનર હર્ષદ ૫ટેલ , તથા  વિવિધ વિભાગોના ઉચ્ચ  અધિકારીઓએ ઓનલાઈન જોડાઈને વિસ્તૃત  માહિતી આપી હતી

(7:22 pm IST)