થરાદના ઉંદરાણા ગામમાં પત્નીની ઘાતકી હત્યા કરીને પતિનો આપઘાત
તિક્ષણ હથિયાર વડે ગળા ઉપર ઘા મારી પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પતિએ પણ ગળે ફાંસો ખાઇ લીધો
થરાદ તાલુકાના ઉંદરાણા ગામમાં પતિએ જ પત્નીની ઘાતકી હત્યા કરી દીધી હોવાની ચોંકાવનારી ઘટના બનતા ખળભળાટ મચી ગયો છે.ઉંદરાણા ગામના રગનાથભાઈ ચમનાજી ઠાકોર (ઉ.વ.૪૪) એ તિક્ષણ હથિયાર વડે ગળા ઉપર આડેધડ ઘા મારી પત્ની મફીબેનનું ઢીમ ઢાળી દીધું હતું. પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પણ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા આ પરિવારનો માળો વીંખાઈ ગયો છે.જોકે પત્નીની હત્યા બાદ પતિની આત્મહત્યાની આ ચકચારી ઘટનાનું રહસ્ય હજુ અકબંધ જ રહ્યું છે
.આ બનાવની જાણ થતાં થરાદના પીઆઇ જે.બી આચાર્યએ મહિલા પીએસઆઇ રાઠોડ સહિત પોલીસના કાફલા સાથે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ બનાવના પગલે ગામલોકો પણ મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.આ બનાવમાં પતિ અને પત્નીના મોત બાદ ત્રણ માસૂમ સંતાનો નિરાધાર બની જતા ગામમાં ચકચાર મચી ગઇ છે.