સુરત શહેરની તમામ જર્જરિત મિલકતોનો ફરીવાર સર્વે કરી રીપેરીંગ કરાવવા નોટિસ આપવા મ્યુનિ,કમિશનરનો આદેશ
જાનહાનિ થવાની સંભાવના હોય તો તાકીદે બિલ્ડિંગ ઉતારી પાડવા સહિતની કાર્યવાહી કરવા કડક સૂચના
સુરતનાં પાર્લે પોઇન્ટ વિસ્તારમાં આવેલા 35 વર્ષ જુના વિશાલ દર્શન એપાર્ટમેન્ટ પડી જવાની ઘટના અને સિમાડા પટેલ ફળીયામાં એક મકાનનો ભાગ પડી ગયા બાદ તંત્ર સતર્ક બન્યું છે .
મનપાની હેલ્થ એન્જિનિયરિંગની બેઠકમાં પાલિકા કમિશનર એમ થેન્નારસને શહેરની તમામ જર્જરિત મિલકતોનો ફરી એક વાર સર્વે કરી રિપેરિંગ કરવા નોટિસનો આપવાનો આદેશ અધિકારીઓને કર્યો હતો. તો સાથે જ જાનહાનિ થવાની સંભાવના હોય તો તાકીદે બિલ્ડિંગ ઉતારી પાડવા સહિતની કાર્યવાહી કરવા કડક સૂચના આપવામાં આવી છે.
કમિશનરે અધિકારીઓને સ્પષ્ટ કહ્યું છે કે અધિકારીઓ માત્ર નોટિસ આપીને સંતોષ નહીં માની લે, પરતું સતત ફોલોઅપ કરતાં રહે, સાથે જ જરૂર જણાય તો બિલ્ડિંગ સીલ કરીને ઉતારી લેવા સુધીની કાર્યવાહી કરવામાં આવે. ખાસ કરીને 25 વર્ષથી જૂની ઈમારતો સામે કાર્યવાહી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.