આણંદ નજીક સામરખામાં પશુપાલક પાસેથી 30 હજારની ભેંસ ખરીદી નાણાં નહીં આપી જાનથી મારી નાખવાની ધમકી આપનાર વિરુદ્ધ ફરિયાદ
આણંદ:નજીક આવેલા સામરખા ગામે રહેતા એક પશુપાલક પાસેથી ૩૦ હજારમાં ભેંસ ખરીદીને બાકીના ૨૦ હજાર રૂપિયા નહીં આપીને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાના આક્ષેપ સાથે ડીએસપીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.
મળતી વિગતો અનુસાર સામરખાના મનુભાઈ બબુભાઈ પરમાર પાસે ગામમાં જ રહેતા સાજીદભાઈ બાબુભાઈ મલેક સુરેશભાઈ અને મહેશભાઈને લઈને આવ્યા હતા અને તેઓની ઓળખાણ ભેંસોના જથ્થાબંધ વેપારી તરીકે કરાવી હતી. જેથી મનુભાઇએ ભેંસ વેચાણ આપી હતી. જેઓને ૧૦ હજાર રોકડા તથા ૨૦ હજારનો ચેક આપ્યો હતો અને બે દિવસ પછી આવીને રોકડા ૨૬ હજાર આપી દઈશું તેમ જણાવીને ભેંસ લઈ ગયા હતા. બે દિવસ બાદ તેઓ ન આવતાં મનુભાઇએ વિદ્યાનગરની બેંકમાં જઈને ચેક રજુ કરતાં અપર્યાપ્ત બેલેન્સના કારણે સ્વીકારાયો નહોતો. જેથી પોતાના ૨૬ હજારની માંગણી કરતાં સાજીદભાઈએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો. ઉપરાંત જો પૈસાની ઉઘરાણી કરી છે તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપ્યાના આક્ષેપ સાથે મનુભાઇએ આણંદ રૂરલ પોલીસ મથકમાં તારીખ ૩ જાન્યુ.૨૦૧૯ના રોજ અરજી આપી હતી જેમાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો.