સરકાર ગુજરાતની જનતા માટે રેમેડેસિવિર પૂરા પાડવામાં નિષ્ફળ, ભાજપ પ્રમુખે ગુજરાત ની જનતાને મોત નાં મોં માં ધકેલીને આખા ગુજરાતના રેમેડેસિવિર ઇન્જેક્શન કમલમ નાં કાર્યાલયે વેચવા માટે દુકાન ખોલી :કાયદો તોડનારા સરકારના હોય કે વિપક્ષના તમામ ઉપર કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ :જો સરકાર પગલા ભરવામાં નિષ્ફળ નિવડે તો મુખ્યમંત્રીશ્રી એ રાજીનામું આપી દેવું જોઈએ : પરેશભાઇ ધાનાણીના પ્રહારો
રાજકોટ તા.૧૧ વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું છે કે,કોરોનની મહામારી મા કોંગ્રેસ પક્ષ સકારાત્મક રીતે લોકોની સેવા કરી રહી છે ત્યારે ગુજરાત સરકાર રાજકીય સ્વાર્થ સાધવાનો પ્રયાસ કરે છે એ દુઃખદ બાબત છે.
કોંગ્રેસ પક્ષે મુખ્યમંત્રીશ્રીને છેલ્લાં એક વર્ષથી કીધુ છે કે સર્વપક્ષીય મિટિંગ બોલાવી કોરોના મહામારી સામે કેમ લડવું એનું આયોજન કરવું જરૂરી છે તો સરકાર એનું આયોજન ન કરીને ઉણી ઉતરી છે.
સરકાર ગુજરાતની જનતા માટે રેમેડેસિવિર પૂરા પાડવામાં નિષ્ફળ ગઈ છે અને આજે ભાજપ પ્રમુખ ગુજરાત ની જનતાને મોત નાં મોં માં ધકેલીને આખા ગુજરાતના રેમેડેસિવિર ઇન્જેક્શન કમલમ નાં કાર્યાલયે વેચવા માટે દુકાન ખોલી છે. અને સરકાર ઉપર નિષ્ફળતાનો આરોપ લગાવે છે ત્યારે ભાજપનાં પ્રમુખ ને શુ કાયદાના અલગ કાટલાં છે ?
ત્યારે મુખ્યમંત્રીશ્રી ને વિનંતી કરું છું કે તાત્કાલિક અસરથી કાયદો તોડનારા સરકારના હોય કે વિપક્ષના તમામ ઉપર કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ. અને જો લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ વ્યક્તિ ચેડાં કરતી હોય ત્યારે તેના ઉપર માનવ વધ નો ગુનો લગાવવો જોઈએ. અને આમાં જો સરકાર પગલા ભરવામાં નિષ્ફળ નિવડે તો મુખ્યમંત્રીશ્રી એ રાજીનામું આપી દેવું જોઈએ.તેમ અંતમાં પરેશભાઇ ધાનાણી એ જણાવ્યું હતું.