ગુજરાત
News of Sunday, 11th April 2021

ગુજરાતમાં કોરોનાના વધતા વ્‍યાપને લઇને ગાંધીનગરપાલીકાની ૧૮ મી એપ્રિલે યોજાનાર ચૂંટણી પંચ સતા માટે તડપી રહેલા રાજકીય નેતાઓએ હવે રાહ જોવાનો વારો આવ્‍યો

ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાએ ભયાનક ભરડો લીધો છે. જેના કારણે પાંચ મહાનગરોમાં કોરોનાની સ્થિતી ખુબ જ વિપરિત બની છે તેવામાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકુફ રાખવા માટે સરકાર દ્વારા ચૂંટણી પંચને અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત વિપક્ષ પણ સતત ચૂંટણી લંબાવવા માટેની માંગ કરી રહ્યું હતું. કેટલીક અરજીઓ પણ હાઇકોર્ટમાં આ અંગેની થઇ હતી. હાલ ચૂંટણી આયોજીત કરવાનું વાતાવરણ પણ નહી હોવાને પગલે ચૂંટણી પંચ દ્વારા હાલ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ અને ગતિને ધ્યાનમાં રાખી વધુ લોકો સંક્રમિત ના થાય તે માટે ચૂંટણી પંચને ચૂંટણી મોકુફ રાખવા માટે અપીલ કરી હતી. કોરોનાને નિયંત્રણમાં રાખી શકાય તેવા જનહિત અભિગમથી રાજ્યમાં પાટનગર ગાંધીનગર મહાનગર પાલિકાની આગામી 18 એપ્રિલે યોજાનારી સામાન્ય ચૂંટણીઓ પ્રવર્તમાન સંજોગોમાં મોકૂફ રાખવાની દરખાસ્ત રાજ્ય ચૂંટણી પંચને કરી હતી.

મુખ્યમંત્રીએ રાજ્ય ચૂંટણી પંચને પત્ર પાઠવીને જણાવ્યું કે, આ સામાન્ય ચૂંટણીઓમાં વિવિધ રાજકીય પક્ષોના ઉમેવારો કાર્યકરો સમર્થકો પ્રચાર માટે મોટી સંખ્યામાં જોડાય તે સ્વાભાવિક છે. એટલુ જ નહિ ચૂંટણી કામગીરીમાં પણ મોટી સંખ્યામાં કર્મચારીઓ અધિકારો ફરજમાં રહેતા હોય છે. આવા સંજોગોમાં કોરોના સંક્રમણ વ્યાપક પણે વધવાની પૂરી શક્યતાઓ રહેલી છે.

રાજ્ય ચૂંટણી પંચ આ બધી બાબતોનો વિચાર કરી ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ વિશાળ જનહિતમાં મોકૂફ રાખે તેવી વિનંતી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના ચૂંટણી કમિશનને કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ZEE 24 Kalak દ્વારા આ અંગે એક અભિયાન પણ ચલાવાયું હતું. જે હવે રંગ લાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

(12:30 pm IST)