અમદાવાદના નિકોલમાં રીક્ષા-બુલેટ વચ્ચે અકસ્માત: ચાર શખ્સોએ રિક્ષાચાલકને ઢોરમાર મારી અપહરણ કર્યું
અમદાવાદ: શહેરના નિકોલમાં રહેતા રિક્ષાચાલકને બુલેટ સાથે અકસ્માત થતા તેમની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ચારેક જેટલા શખ્સોે ૨૨ વર્ષીય રિક્ષાચાલકને ઢોર માર મારીને તેનું અપહરણ કરી ગયા હતા. આ અંગે નિકોલ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત મુજબ નિકોલમાં વિરાટનગરમાં પુનમબહેન એસ.બઘેલ તેમના પરિવાર સાથે રહે છે. તેમનો ભાઈ યોગેશ (૨૨) તેમની સાથે રહે છે અને રિક્ષાચાલક છે. ૮ એપ્રિલના રોજ યોગેશે તેની બહેન પુનમને ફોન કરીને જણાવ્યું હતું કે ખોડીયાર જ્યોત સોસાયટી પાસે તેને બુલેટવાળા સાથે અકસ્માત થયો છે અને બુલેટ પર આવેલા બન્ને શખ્સો રિક્ષા સાથે તેને લઈ ગયા છે. તે સિવાય યોગેશ તેના મિત્ર રવિને મોકલીને બહેન પુનમને સુંદરવન સોસાયટી પાસે બોલાવી લીધી હતી. તે સમયે ચાર જેટલા શખ્સોે યોગેશને ગડદાપાટુનો માર મારતા હતા. તેમણે બુલેટને થયેલા નુકશાનના ૪૫ હજાર માંગ્યા હતા. જોકે પુનમબહેને તેમના ભાઈને હાલ છોડી દેવા અને બીજે દિવસે પૈસાની વ્યવસ્થા કરશે, એમ કહ્યું હતું.