ઠાકોર સેનામાં ભંગાણ : અલ્પેશની અપક્ષના ટેકામાં દિયોદરના કોતરવાડામાં જાહેરસભા
બનાસકાંઠા જિલ્લાના 7 તાલુકામાંથી 4 તાલુકાના ઠાકોર સેનાના સભ્યોનો કોંગ્રેસને સાથ આપવા નિર્ણય:કેટલાક ભાજપના સમર્થનમાં બહાર આવ્યા
અમદાવાદ ;ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું છે જોકે તેને ભાજપના જોડાવાની વાતને ફગાવી દીધી છે ત્યારે અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનામાં ભંગાણ જોવાઈ રહયું છે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આજે બનાસકાંઠામાં પ્રચાર માટે આવી શકે છે.
બનાસકાંઠા લોકસભાના અપક્ષ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરના પ્રચાર માટે દિયોદરના કોતરવાડા ગામે અલ્પેશની જાહેર સભાનું આયોજન કરાયુ છે. સ્વરૂપજી ઠાકોરે બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર અપક્ષ ઉમેદવારી કરી છે. સ્વરૂપજી ઠાકોર ક્ષત્રિય ઠાકોર સેનાના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ છે.
જોકે બનાસકાંઠા જિલ્લાના 7 તાલુકામાંથી 4 તાલુકાના ઠાકોર સેનાના સભ્યોએ અલ્પેશને બદલે કોંગ્રેસને સાથ આપવાનો નિર્ણય કર્યો છે. અલ્પેશ ઠાકોર હાલમાં ભાજપની બી ટીમ હોવાનો બળાપો રાજકીય અગ્રણીઓ કાઢી રહ્યાં છે.
પાટણ અને બનાસકાંઠા બેઠકમાં ઠાકોર સમાજનું પ્રભુત્વ હોવાથી આ બેઠકો ભાજપના તાસકમાં ધરી દેવા માટે ઠાકોર સેનાના ઉમેદવારો ઉભા રાખી કોંગ્રેસની વોટબેંકમાં ગાબડાં પાડવાનો આ નિર્ણય છે.
દરમિયાન કેટલાક ઠાકોર સેનાના સભ્યો ભાજપ તરફી જોક ધરાવતા હોવાનું પણ બહાર આવ્યું છે