અમદાવાદમાં લગ્નના બીજા જ દિવસે દુલહન ફરાર :ત્રણ મહિલા સહીત પાંચ સામે ફરિયાદ
વેબસાઈટના માધ્યમથી ભોપાલની યુવતી સાથે લગ્ન કરેલા :સંસ્થાના લોકોને દોઢ લાખ અને સોનાની ચેન ભેટમાં આપી હતી
અમદાવાદમાં રહેતા કાંતિભાઈ ચાવડા નામના વ્યક્તિ સાથે લગ્નના નામે છેતરપિંડી થઈ છે. લગ્ન રિશ્તે નામની એક વેબસાઈટના માધ્યમથી કેટલાક ઇસમોએ કાંતિભાઈને લગ્ન કરાવી આપવાની લાલચ આપીને ભોપાલમાં છોકરી જોવા માટે લઇ ગયા હતા. ભોપાલમાં યુવતી ગમ્યા પછી કાંતિભાઈએ યુવતી સાથી લગ્ન કરવાનું નક્કી કરી લીધુ. જેના કારણે 17 ફેબ્રુઆરીના રોજ યુવતી તેના માતા-પિતા સાથે અમદાવાદમાં આવી હતી અને બંનેએ એક રૂમમાં લગ્ન કરી લીધા હતા.
લગ્નના દિવસે જ યુવતીના માતા-પિતાએ અને લગ્ન રિશ્તે નામની સંસ્થાના કહેવા અનુસાર સંસ્થાના લોકોને દોઢ લાખ રૂપિયા રોકડા અને એક સોનાની ચેન ભેટમાં આપી હતી. લગ્નના બીજા દિવસે યુવતીએ કાંતિભાઈને કહ્યું હતું કે, તેણે ITEની પરીક્ષા આપવા માટે તેના વતન જવું પડશે. જેના કારણે કાંતિભાઈએ યુવતીને પરીક્ષા આપવા જવા માટેની હા પાડી હતી.
યુવતી પરીક્ષા આપવા ગઈ તેના ઘણા દિવસો વીતી જવા છતા તે પાછી ન આવતા કાંતિભાઈએ યુવતી અને તેના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતી અને લગન રિશ્તે નામની એક વેબસાઈટના માધ્યમથી કાંતિભાઈને ભોપાલ લઇ જનારા ઇસમોનો કોઈ સંપર્ક ન થતા કાંતિભાઈએ અમદાવાદના અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ત્રણ મહિલા સહિત પાંચ લોકો સામે ફરિયાદ દાખલ કરાવી છે. અમરાઈવાડી પોલીસે કાંતિભાઈની ફરીયાદ લઇને આરોપીઓને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે.