ગુજરાત
News of Monday, 11th February 2019

શાંતિપૂર્ણ ચૂંટણી લોકતંત્ર માટેની ઓળખ છેઃ કોહલી

અધિકારીઓને સન્માનિત કરાયા

અમદાવાદ,તા.૧૧ : તારીખ ૨૬મી જાન્યુઆરી-૧૯૫૦ ના રોજ ભારત પ્રજાસત્તાક દેશ બન્યો અને તેના એક દિવસ પૂર્વે તારીખ ૨૫મી જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ ભારતીય ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી. દર વર્ષે ૨૦૧૧થી આ દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે આજે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં રાજ્યપાલ ઓપી કોહલીએ જણાવ્યુ હતું કે, દેશ અને રાજ્યમાં શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં ચૂંટણીઓ યોજાય તે લોકતંત્રની સાચી ઓળખ છે. મતદાતાએ લોકશાહીના સંરક્ષક છે. આ પ્રસંગે રાજ્યપાલએ વધુમાં જણાવ્યું હતું કે, ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. ભારતમાં વિવિધ સંસ્કૃતિ, ભાષા, ધર્મ-સંપ્રદાય, પ્રાંત, ભૌગોલિક પરિસ્થિતિ, શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં અનેક અડચણો વચ્ચે પણ દેશમાં સફળ ચૂંટણી પ્રક્રિયાઓ સંપન્ન થાય છે તે માટે તેમણે તમામ અધિકારી-કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. આપણો દેશ પ્રજાસત્તાક દેશ છે, લોકશાહીનો મુખ્ય આધાર ચૂંટણી છે. આપણા દેશની લોકશાહી વધુને વધુ પરિપક્વ બની રહી છે. મતદાતા નિડર રહી મતદાન કરે એ તંદુરસ્ત લોકશાહી માટે અત્યંત આવશ્યક છે. જે લોકો ચૂંટણી પ્રક્રિયામાં નિરૂત્સાહી રહે છે તેઓને વધુ મતદાન કરવા માટે પ્રેરિત કરવા જોઈએ. લોકતંત્રને મજબૂત બનાવવા માટે ભારતીય ચૂંટણી આયોગ તેમજ વિવિધ રાજ્યોના ચૂંટણી આયોગની વિશ્વસનિયતા મહત્વપૂર્ણ છે તે માટે જે કામગીરી થઈ રહી છે તે ખૂબ જ સરાહનીય છે.

(9:32 pm IST)