ગુજરાત
News of Monday, 11th February 2019

વ્હીકલ બ્લોક બુકીંગ કાંડમાં ચિરાગ સહિત ત્રણ ઝડપાયા

કૌભાંડનો આંક ૧૨૦૦ કરોડ સુધી પહોંચી શકે : દસક્રોઈ તાલુકા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખના પુત્ર ચિરાગ પટેલની ધરપકડ અન્યો લોકો પણ સામે આવતા ચકચાર

અમદાવાદ,તા.૧૧ : વ્હીકલનાં બ્લોક બુકિંગના નામે રૂપિયા ૧૫ કરોડનું ચિટીંગ કરવાના ચકચારભર્યા પ્રકરણમાં શહેર ક્રાઇમ બ્રાન્ચે આજે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા ત્રણ આરોપી પૈકી પકડાયેલો ચિરાગ પટેલ એરપોર્ટ ઓથોરિટી કમિટીનો સભ્ય રહી ચુક્યાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી છે. એટલું જ નહી, આ સમગ્ર કૌભાંડની જો તમામ વિગતો બહાર આવે તો છેતરપિંડીનો આંકડો ૧૨૦૦ કરોડ સુધી પહોંચવાની શક્યતા હોઇ તપાસનીશ એજન્સીએ હવે તપાસનો ધમધમાટ આગળ ધપાવ્યો છે. બીજીબાજુ, આરોપી ચિરાગ પટેલ સાંસદ અને એક્ટર પરેશ રાવલની પણ નજીક હોવાની ચર્ચા છે. તાજેતરમાં બન્નેના કેટલાક ફોટોગ્રાફ્સ પણ વાઈરલ થયા હતા, તેને લઇ પણ હવે તપાસ થઇ રહી છે. શહેરના પાલડી વિસ્તારમાં રહેતાં કલ્પેશ નટવરલાલ અખાણીએ ક્રાઇમ બ્રાંચમાં તાજેતરમાં પ્રિયંક અગોળા, તેના પિતા અમૃત અગોળા અને તેમના ભાગીદાર ચિરાગ પટેલ સામે છેતરપીંડીની ગંભીર ફરિયાદ નોંધાવી હતી. આ ત્રણેય આરોપી સામે ઓટો મોબાઇલ્સના ધંધામાં રોકાણના નામે વર્ષ ૨૦૧૨થી ૨૦૧૬ દરમિયાન કુલ ૧૫ કરોડ મેળવ્યા અને વ્હીકલમાં રોકડેથી રોકાણ કરાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપી ચિરાગ પટેલ કાર-ટુ વ્હિલરનું એડવાન્સ બુકિંગ કરાવી તેને ઓનમાં વેચવાનો ધંધો કરતાં હોવાનું કહેતા હતા અને તેના કારણે જે નફો થશે તેમાંથી રોકાણકારોને મહિને ૪ ટકાનું વળતર અપાશે એવી લાલચ આપતાં હતાં. દસક્રોઈ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પુત્ર ચિરાગ પટેલની ધરપકડ થતાં જ વધુ ત્રણ લોકોએ ચિરાગે આ પ્રકારે તેમની સાથે રૂપિયા ૧.૩૦ કરોડની ઠગાઇ કરી હોવાનું નિવેદન નોંધાવ્યું છે. આ કૌભાંડના ભોગ બનનારા સેંકડો રોકાણકારોમાં ચાલતી ચર્ચાઓ મુજબ છેતરપિંડીના આ કૌભાડનો આંકડો આશરે ૧૨૦૦ કરોડ જેટલો થવા જાય છે અને ભાજપના એક કદાવર નેતાનો પુત્ર આ કૌભાંડના એક આરોપીનો ભાગીદાર છે. ઉલ્લેખનીય છે કે, ચિરાગ પટેલે આરટીઓમાં મોટું કૌભાડ આચર્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેમાં ડિમાન્ડ હોય તેવા ટુ વ્હીલરની ત્રણ હજાર અને ફોર વ્હિલરની ચાર હજાર ઓન એજન્સીને ચૂકવીને બ્લોક એટલે કે બુક કરાવતા હતા. ત્યારબાદ કોઇ ગ્રાહક આવે અને ઓનથી પણ વધુ પૈસા આપે તો વાહનો વેચતા હતા. ઠગાઇનો આંક અનુક્રમે રૂ. ૧૫ કરોડ, રૂ. ૨૨ લાખ, રૂ. ૯૬ લાખ અને રૂ. ૧૨ લાખ છે. આ ઉપરાંત રોકાણકારોના જણાવ્યા મુજબ, કરોડો રૂપિયાની ઠગાઇનો ભોગ બનેલા અન્ય લોકો પણ ક્રાઇમ બ્રાંચ સમક્ષ અરજી કરે તેવી શકયતા છે.  કેટલાક રોકાણકારોના મતે, આ પ્રકારે ઠગાઇનો ભોગ બનેલા રાજ્યભરના રોકાણકારોની સંખ્યા ૬૦૦થી પણ વધુ છે અને સારૂ વળતર આપવામાં આવતું હોવાથી મોટાભાગના રોકાણકારોએ એકથી પાચં કરોડ રૂપિયા સુધીનું રોકાણ કર્યું હતું. હવે જો રોકાણની સરેરાશ ૨ કરોડ પણ ગણવામાં આવે તો છેતરપિંડીનો કુલ આંક ૧,૨૦૦ કરોડને આંબી જાય એવી શક્યતા છે. તેથી હવે સમગ્ર કૌભાંડની ગંભીરતા ધ્યાને લઇ તપાસનીશ એજન્સીએ તપાસનો ધમધમાટ આગળ ધપાવ્યો છે.

 

(7:39 pm IST)