સાંતલપુરના સિંઘાડામાં માયનોર કેનાલમાં ગાબડું પડતા હજારો લીટર પાણીનો જથ્થો વેડફાયો
સાંતલપુર: તાલુકાના સીધાડા ગામ પાસેથી પસાર થતી પરસુંદ માયનોર કેનાલમાં પ્રથમ વખત પાણી છોડવામાં આવતા કેનાલમાં મોટું ગાબડું પડયું હતું. કેનાલનું કામ પાંચેક દિવસ પહેલા બનાવવામાં આવેલ કેનાલ તુટી જતા કેનાલના કામમાં ગુણવત્તા જળવાઈ ના હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા.
સીધાડા ગામ નજીક પરસુંદ માયનોર કેનાલનું કામ પાંચેક દિવસ અગાઉ કરવામાં આવ્યું હતું. કેનાલનું કામ ચાલતું હતું ત્યારે જ ખેડૂતોએ કામ બરાબર કરવામાં ના આવતું હોવાની ફરિયાદ નર્મદા નિગમના અધિકારીઓને કરી હતી. પરંતુ ભ્રષ્ટાચારી અધિકારીઓએ કેનાલોના કામોની ગુણવત્તા જળવાઈ રહે તેના માટે કોઈ જ કાર્યવાહી કરી ન હતી. જેના કારણે કેનાલમાં પ્રથમ વખત પાણી છોડવામાં આવતા સીધાડા ગામ નજીક કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડયું હતું. શિયાળાની રવી સીઝનનો પાક લેવાના સમયે ગાબડું પડતા કેનાલનું પાણી આજુબાજુના ખેતરમાં જીરાના ઉભા પાકમાં ફરી વળતા ખેડૂતને ભારે નુકસાન થયું હતું.