મગફળીના પાક વિમાની 'બોણી'ના ૯૦ કરોડ છુટ્ટા, હજુ જંગી રકમ બાકી
રાજકોટ, તા. ૧૧ : રાજયમાં ૨૦૧૮ના વર્ષમાં મગફળી ઉગાડનાર અને જેનો પાક વિમો નિષ્ફળ ગયો છે તેવા ખેડૂતો માટે પાક વિમાની ચૂકવણીના શ્રીગણેશ થયા છે. વિમા કંપનીએ પ્રથમ તબક્કે જયાં વિવાદ નથી તેવા તાલુકાઓ માટે રૂ. ૯૦ કરોડ છૂટા કર્યાનું જાણવા મળે છે. હજુ મગફળીના પાક વિમા પેટે જંગી રકમ બાકી રહે છે.
વિમા કંપની અને સરકારના સર્વેના આંકડામાં મોટો તફાવત આવતા વિવાદ સર્જાયેલ. અમુક પ્રમાણમાં વિવાદ ઉકેલાયો છે. બાકીની કામગીરી માટે દિલ્હી કક્ષાએ બેઠકોનો દોર ચાલુ છે. મગફળીના વિમા પેટે ગુજરાતે રૂ.૧ હજાર કરોડથી વધુ રકમ લેવાની થાય છે. મુખ્યમંત્રીએ ફેબ્રુઆરી સુધીમાં ખેડૂતોને પાક વિમો મળી જવાનું આશ્વાસન આપેલ. પ્રથમ તબક્કે ૯૦ કરોડ છૂટા થતાં બાકીની રકમ ટૂંક સમયમાં મળશે તેવી ખેડૂતોને આશા જાગી છે.