ગુજરાત
News of Monday, 11th February 2019

આપણાં જીવનમાં પાનખરને બદલે વસંત ખીલે, જીવન હરિયાળું બને એજ ભગવાન પાસે પ્રાર્થના છે: શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી

શ્રીસ્વામિનારાયણ ગુરુકુલ એસજીવીપીમાં પંચરંગી કાર્યક્રમ શ્રી રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજનો વાર્ષિક પાટોત્સવ – અભિષેક- અન્નકૂટોત્સવ, શાકોત્સવ, શિક્ષાપત્રી પૂજન: ૬૦૦ કિલો ગુલાબના ફુલોની પાંખડીઓથી ઠાકોરજીનું પૂજન કરાયું : ૧૧૧ વાનગીઓના અન્નકૂટનો પ્રસાદ ગરીબોને વહેંચવામાં આવ્યો

અમદાવાદતા. ૧૧ : આજથી બસો વર્ષ પૂર્વ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને સંતો જ્યારે અમદાવાદ પધારતા ત્યારે રસ્તામાં આવતી અડાલજ વાવમાં પાંચસો પરમહંસો અને ભગવાન શ્રી સ્વામિનારાયણ ઘણીવાર સ્નાન કરતા. તે ઐતિહાસિક અડાલજ વાવના પવિત્ર જળને રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજના વાર્ષિક પાટોત્સવ પ્રસંગે, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો, એસજીવીપીના વિદ્યાર્થીઓ અને સંતો  પગપાળા કાવડ મારફતે લાવી ગુરુકુલમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામા આવી હતી.

ત્યારબાદ બીજે દિવસ વસંતપંચમી શિક્ષાપત્રીના પૂનિત પર્વે સામૂહિક શિક્ષાપત્રી પૂજન કરવામાં આવ્યા બાદ ભગવાનને વૈદિક મંત્રો સાથે ગંગાજળ, તમામ ઔષધિઓના રસ, ફળોના રસ, સપ્તનદીઓના જળ, પંચગવ્ય વગેરેથી ઘનશ્યામ મહારાજને અભિષેક કરવામાં આવ્યો હતો.

તેમજ ૬૦૦ કિલો ગુલાબનાફુલોની પાંખડીઓથી પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી ભકિતપ્રકાશદાસજી સ્વામી અને પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીના હસ્તે મૂર્તિઢગ ઠાકોરજીનું પૂજન કરવામાં આવ્યું હતું  ત્યાર બાદ ૧૧૧ વાનગીઓનો અન્નકૂટ ઠાકોરજીને ધરાવી, અ્ન્નકૂટનો પ્રસાદ ગરીબોને વહેંચવામાં આવ્યો હતો.

 આ પ્રસંગે વિદેશ યાત્રાએ ગયેલા પૂ.માધવપ્રિયદાસજીસ્વામીએ ટેલિફોનથી જણાવ્યું હતું કે આજે તો વસંત પંચમી. આજનો દિવસ અતિ મહત્વનો છે. આજના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે સર્વ જીવહિતાવહ શિક્ષાપત્રીનું લેખન કરેલ છે. આપણે શિક્ષાપત્રી પ્રમાણે વર્તીએ તો આલોક અને પરલોકમાં સુખી થઇએ. આપણાં જીવનમાં પાનખરને બદલે વસંત ખીલે, આપણું જીવન હરિયાળું બને, પ્રેમની ધારા પ્રગટે અને ભકિતના પુષ્પો ખીલે એજ પ્રાર્થના છે.

 આ પ્રસંગે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, શામજીભગત અને ભાગવત કથાકાર જીજ્ઞેશદાદાએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.

(1:11 pm IST)