ગુજરાત
News of Monday, 11th February 2019

ભાવનગરથી ગાંધીનગર સુધી ઇન્ટરસીટી ટ્રેનનો આરંભ થયો

અમદાવાદમાં ઉતરવા ઈચ્છુક આંબલી ઉતરશે : સૌરાષ્ટ્ર તરફ આવન-જાવન માટે વધુ એક વિકલ્પ મળ્યા

અમદાવાદ,તા.૧૦ : ભાવનગરથી ગાંધીનગર સુધીની ઈન્ટરસિટી ટ્રેન(નંબર-૧૯૨૦૪)ની આજથી શરૂઆત થઈ છે. આ ઈન્ટરસિટીને ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ ટ્રેન દૈનિક સવારે ૮.૧૫ કલાકે ભાવનગર ટર્મિનસથી ઉપડીને બપોરે ૨.૩૫ કલાકે ગાંધીનગર પહોંચશે. જ્યારે ગાંધીનગરથી આ ઈન્ટરસિટી(૧૯૨૦૩) સાંજે ૫.૪૫ વાગ્યે ઉપડીને રાતના ૧૧ અને ૫૫ વાગ્યે ભાવનગર પહોંચશે. આ ટ્રેનમાં અમદાવાદ આવવા માગતા લોકોને આંબલી રોડ સ્ટેશને ઉતરવાનું રહેશે. ભાવનગર અને ગાંધીનગર વચ્ચેની આ ઇન્ટરસીટી ટ્રેન શરૂ થવાના કારણે અમદાવાદ, ગાંધીનગર, વિરમગામ સહિતના નજીકના અંતરે આવેલા સ્ટેશનોના મુસાફરોને ઘણી રાહત થઇ છે. તેમના માટે સૌરાષ્ટ્ર બાજુ જવાનો વધુ એક વિકલ્પ ખૂલ્યો છે અને ત્યાંથી અહીં આવવા માંગતા સૌરાષ્ટ્રવાસીઓ માટે પણ વધુ એક ટ્રેન મળી છે. જેને પગલે પેસેન્જર્સમાં પણ ખુશીની લાગણી છવાઇ છે. ભાવનગરથી ઉપડનારી ઈન્ટરસિટી સિહોર, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ અને આંબલી રોડ(અમદાવાદ) થઈને ગાંધીનગર પહોંચશે. આ ટ્રેનમાં ૨ સાધારણ ચેરકાર, એક એસી ચેરકાર, ૫ જનરલ કોચ અને ૨ એસ.એલ.આર. સહિત કુલ ૧૦ કોચ છે. આ ટ્રેનમાં મુસાફરી માટે રિઝર્વેશન પણ શરૂ થઈ ગયું છે. સામાન્ય ચેરકારમાં ભાવનગરથી ગાંધીનગરનું ભાડું રૂ.૧૨૦ રૂપિયા તથા એસી ચેરકારનું ભાડું રૂ.૪૪૦ છે. જ્યારે ભાવનગરથી આંબલી રોડ(અમદાવાદ આવવા માટે)નું સાધારણ ચેરકારનું ભાડું રૂ.૧૧૫ જ્યારે એસી ચેરકારનું ભાડું રૂ.૪૨૦ છે. છેલ્લા કેટલાક સમયથી ભાવનગરથી અમદાવાદ આવવા માટે લોકોને માત્ર એસ.ટી. બસ કે ખાનગી લક્ઝરી બસમાં જ મુસાફરી કરવી પડતી હતી. આ અગાઉ ભાવનગરથી બેસી પહેલા બોટાદ પહોંચી અને ત્યાંથી અમદાવાદની ટ્રેન બદલીને આવવું પડતું હતું. પરંતુ ગેજ પરિવર્તનને કારણે તે સેવા બંધ થતાં લોકોને ના છૂટકે મોંઘા ભાડાં ચૂકવી અમદાવાદ આવવું પડતું હતું. હવે ભાવનગર-ગાંધીનગર ઇન્ટરસીટી શરૂ થતાં પેસેન્જર્સને બહુ મોટી રાહત થઇ છે.

 

 

(9:04 pm IST)