મોડાસાની યુવતીના મોત બાદ અનુસુચીત અત્યાચાર નિવારણ ધારા હેઠળ ૪.૧ર લાખની સહાય પરીવારજનોને ચુકવાઇ
મોડાસા, તા.,૧૧: સાયરાની યુવતીના મોત મામલે એસસી એસટી કમીશન દ્વારા યુવતીના પરીવારજનોની મુલાકાત લેવાઇ હતી. કમીશન દ્વારા યુવતીના પરીવારજનોને અનુસુચીત અત્યાચાર નિવારણ ધારા હેઠળ ૪.૧ર લાખની ઓનલાઇન સહાય ચુકવાઇ હતી. અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકામાંઆવેલા અમરાપુર ગામની યુવતીનો સાયરા ગામની સીમમાંથી એક જાડ ઉપરથી ગત પ જાન્યુઆરીએ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પગલે પરીવારજનોમાં આક્રોશ ફેલાયો હતો.
આ ઘટના અંગે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ સામે યુવતીના અપહરણ, સામુહીક દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ઘટના બાદ લોકોમાં આક્રોશ જોવા મળી રહયો છે. બીજી તરફ યુવતીના મોતને આજે પાંચ દિવસ વીતવા છતા પણ પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ રીપોર્ટ અંગે ખુલાશો કરાયો નથી. જેના કારણે યુવતીના મોત મામલે અનેક તર્ક વિતર્ક થઇ રહયા છે ત્યારે આ ઘટના બાદ પોસ્ટમોર્ટમ વખતે હાજર પંચે જણાવ્યું હતું કે યુવતીના શરીરે નખ માર્યાના નિશાન જોવા મળ્યા હતા.
યુવતીના મોત મામલે એસસી એસટી કમીશનના ડાયરેકટર યુવતીના ઘરે જઇ પરીવારની મુલાકાત લીધી હતી. બનાવ મામલે રીપોર્ટ બનાવવા મામલે માહીતી લીધી હતી. અનુસુચીત અત્યાચાર નિવારણ ધારા હેઠળ ૪.૧ર લાખની ઓનલાઇન સહાય ચુકવાઇ હતી. જયારે સમગ્ર મામલે ચાર્જશીટ દાખલ થયા બાદ વધુ ૪ લાખ રૂપીયાની સહાય ચુકવાશે. તેઓએ જણાવ્યું હતું કે આ મામલે જે કોઇ અધિકારી દોષીત જણાશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.