પાસપોર્ટમાં હવે નવી ડિઝાઇનઃ ઉપરાંત રાજ્યની ૧૯ પોસ્ટ ઓફિસમાં બાયોમેટ્રીકસ સિસ્ટમ : હવે ધક્કા બંધ
અરજી કરનારે હવે અમદાવાદ - રાજકોટની પાસપોર્ટ કચેરીમાં જવુ નહી પડે.. : ૨૦૧૯માં ૬ લાખ ૯૩ હજાર પાસપોર્ટ ઈસ્યુ કરાયાઃ રોજની ૩૬૨૦ અરજીઓ
અમદાવાદ તા. ૧૧: પાસપોર્ટ માટે અરજી ક રનારને હવે નવી ડિઝાઇન સાથે પાસપોર્ટ ઈશ્યુ કરાશે. એટલુ જ નહી ૨૦૧૨માં પીએસકે સેન્ટરો ચાલુ થાય તે પહેલા જેમને પાસપોર્ટ ઈશ્યુ કરાયા છે તેમના પાસપોર્ટ જો રિન્યુ કરાવવાના હશે તો અમદાવાદ પાસપોર્ટ ઓફિસમાંથી અરજદારને ઓટોમેટિકલી એસએમએસ જતો રહેશે.
અમદાવાદના રિજીનલ પાસપોર્ટ ઓફિસર સોનિયા યાદવે જણાવ્યુ કે પહેલા અરજદારોને બાયોમેટ્રીક માટે અમદાવાદ કે રાજકોટ ઓફિસમાં જવુ પડતુ હતુ તેના બદલે અરજદારે જ્યાં પાસપોર્ટની અરજી આપી હશે તે પોસ્ટ ઓફિસમાં બાયોમેટ્રીક સિસ્ટમ શરૂ કરી દેવામાં આવી છે. એટલે ધક્કાફેરા ખાવા પડશે નહી .રાજ્યમાં ૧૯ પોસ્ટ ઓફિસમાં બાયોમેટ્રીક સિસ્ટમ છે. ગુજરાત , રાજસ્થાન , દમણ, અને દીવના અરજદારોના ડોકયુમેન્ટ વેરિફીકેશનનું આઉટ સોર્સિગ કરાયુ છે. પાસપોર્ટ ઓફિસમાં રોજની ૩૬૨૦ અરજીઓ આવે છે. ડિસેમ્બર ૨૦૧૯ સુધીમાં ૬.૯૩ લાખ પાસપોર્ટ ઈશ્યૂ કરી દેવાયા છે. પાસપોર્ટ અદાલતમાં ૪ હજાર કેસોનો નિકાલ કરાયો છે. રોજના ૨,૪૦૦ પાસપોર્ટનું પ્રિન્ટીંગ થાય છે. હવે અરજદારોને નવી ડિઝાઇન સાથેનો પાસપોર્ટ મળશે.