અ'વાદ: ટ્રેનમાં હત્યા કરનાર ટોળકીના બે સભ્યોની ધરપકડના આધારે વધુ લોકોની તપાસ શરૂ
અમદાવાદ:સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં ભાજપના પુર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ગોળી મારીને કરાયેલી ચકચારી હત્યા કેસમાં ટ્રેનમાં બેથી વધુ આરોપીઓ હોવાની શંકાને આધારે પોલીસ તપાસ કરી રહી છે. વ્યવસ્થિતપણે પાર પડાયેલા હત્યાના આ કાવતરામાં સહ આરોપીઓએ પણ અલગ અલગ ભુમિકા ભજવી હોવાની શક્યતા છે. બીજીતરફ હત્યારા ભાનુશાળી સાથે પ્રવાસ કરી રહેલા સહ પ્રવાસીની બેગ લઈને ભાગી ગયા હતા. જે બાદમાં ટ્રેક નજીકથી એટીએસને મળી હતી. આરોપીઓ ભુલથી ભાનુશાળીની જમીનના વિવાદાસ્પદ કેસો તથા દુષ્કર્મને લગતા પેપરો ભરેલી બેગને બદલે આ બેગ લઈને ભાગી ગયા હતા. બેગમાંથી કંઈ ન મળતા તેમણે બેગ ફેંકી દીધી હતી.
હત્યારાઓએ ભાનુશાળીની ગોળી મારીને હત્યા કર્યા બાદ તેમના કંપાર્ટમેન્ટમાંથી એક બેગ ઉઠાવી લીધી હતી. પરંતુ બાદમાં તેમણે બેગ ટ્રેક નજીક ફેંકી દીધી હતી. તપાસ કરતા આ બેગ ભાનુશાળી સાથે પ્રવાસ કરતા પ્રવાસીની હોવાનું બહાર આવ્યું હતું.