સુરતના હજીરામાં શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષની માસુમ બાળકી પર બળાત્કાર
બપોરે અચાનક ગુમ થયા બાદ નજીકની ઝાડીઓમાંથી લોહીલુહાણ હાલતમાં મળી
સુરતના હજીરા ગામમાં રહેતી ત્રણ વર્ષની માસુમ બાળકીને કોઈ નરાધમે હવસનો શિકાર બનાવી છે. હજીરા નજીકની ઝાડીઓમાંથી આ બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવતા સમગ્ર મામલો બહાર આવ્યો છે અને હાલમાં સુરત પોલીસ તપાસ કરી રહી છે
આ અંગે મળતી વિગત મુજબ સુરત શહેરના છેવાડે આવેલા હજીરા ગામ માતા ફળિયા ખાતે શિકોતર માતાના મંદિર નજીક રહેતા એક શ્રમજીવી પરિવારની ત્રણ વર્ષની બાળકી આજે બપોર બાદ અચાનક ગુમ થઇ ગઇ હતી. તેના પરિવાર અને આસપાસના લોકોએ બાળકીની શોધખોળ કરવા છતા તે હાથ લાગી ન હતી. દરમિયાન હજીરા નજીક આવેલી બાવળની ઝાડીઓ વચ્ચેથી આ બાળકી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી.
માસુમ બાળકીને સારવાર માટે તાત્કાલિક 108ની મદદથી નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવી હતી. જ્યાં આ બાળકી ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યાનું ડોક્ટરોની તપાસમાં જાહેર થતા શ્રમજીવી પરિવાર પર આભ તુટી પડ્યું હતું. પરિવારના સભ્યો સહિત આસપાસના લોકોએ રો કકળ કરીને વાતાવરણ ગમગીન બનાવી દીધું હતું.