ગોધરા કાંડ :પ્રદીપસિંહ જાડેજા તપાસ કમિટીનો અહેવાલ ભાગ-2 વિધાનસભા ગૃહમાં રજૂ કરશે
અહેવાલ પર લીધેલા પગલાં વિશે રાજ્ય સરકાર ગૃહને માહિતગાર કરશે.
અમદાવાદ : ગુજરાત વિધાનસભા ગૃહમાં કાલે ગોધરા કાંડ અહેવાલનો ભાગ-2 મેજ પર મુકવામાં આવશે. ગોધરા નજીક સાબરમતી ટ્રેનના એસ-6 કોચને આગ લગાડવાના બનાવનો રિપોર્ટ ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા ગૃહમાં રજૂ કરશે
રાજય સરકારે આ ઘટનાની તપાસ માટે જસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ મહેતા તપાસ કમિટી રચી હતી. તપાસ કમિટીનો અહેવાલ ભાગ-2 તથા અહેવાલ પર લીધેલા પગલાં વિશે રાજ્ય સરકાર ગૃહને માહિતગાર કરશે.
અત્રે ઉલેલ્ખનીય છે કે 27 ફેબ્રુઆરી 2002ના દિવસની આ ઘટના છે. ઉત્તરપ્રદેશથી આવી રહેલી સાબરમતી એક્સ્પ્રેસને ગોધરા રેલવે સ્ટેશન નજીક સિગ્નલ ફળિયા વિસ્તારમાં કેટલાક ટોળાએ અટકાવી હતી. બાદમાં ટોળાએ હુમલો કરીને ટ્રેનના એસ-6 કોચને આગ ચાંપી હતી. જેમાં ટ્રેનમાં સફર કરી રહેલા 59 કાર સેવકોનાં મોત થયાં હતા. 27 ફેબ્રુઆરી 2002ના દિવસે સાબરમતી એક્સપ્રેસ ગોધરા સ્ટેશને નિર્ધારિત સમયથી ચાર કલાક મોડી પડી હતી. ગોધરા પાસે બનેલી આ ઘટના બાદ રાજ્યભરમાં તેના પડઘા પડ્યા હતા. જે બાદ રાજ્યભરમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. જેમાં જુદા જુદા કિસ્સામાં 1000થી વધુ લોકોનાં મોત થયા હતા.