ગુજરાત
News of Tuesday, 10th December 2019

પાટણના સાંતલપુર તાલુકામાં ખેડૂતો માટે રૂ.૬૮૦૦ની સહાય જાહેર ન કરાય ત્યાં સુધી સરપંચો-ખેડૂતોના ધરણા

પાટણ : પાક સહાયમાં સરકાર દ્વારા સાંતલપુર તાલુકામાં વ્યાપક નુકસાન છતાં 4 હજારની સહાય સામે 6800ની સહાયની જાહેરાત નહિ કરવામાં આવે ત્યાં સુધી 72 ગામના ખેડૂતો અને સરપંચોએ ધરણા કરી અન્નજળનો ત્યાગ કરી અચોક્કસ મુદ્દતનું આંદોલન શરૂ કર્યું છે. જો સરકાર તેમને સહાય નહી આપે તો તેઓ ગાંધીચિંધ્યા માર્ગે વિરોધ વ્યક્ત કરતા રહેશે.

પાટણ જિલ્લામાં સાંતલપુર તાલુકામાં ચાલુ સાલે ભારે વરસાદથી અને પાછોતરો કમોસમી વરસાદ પડતાં ખરીફ સીઝનના ઉભા પાકોને વ્યાપક નુકશાન ગયું છે. હજારો એકરમાં વાવેતર કરેલા એરંડા જુવાર બાજરો અને કઠોળ સહિતના પાકો સંપૂર્ણ નિષ્ફળ ગયા છે, ત્યારે પાક નિષ્ફળ બાબતે ખેડૂતોને માત્ર 4 હજારની સહાયની જાહેરાત તેમજ વીમા કંપની દ્વારા પાક વીમાનું વળતર  ના આપતા નારાજ થયેલા સાંતલપુર તાલુકાના 72 ગામોના ખેડૂતો અને 30 જેટલા સરપંચો એકઠા થઇ સાંતલપુરની વારાહી સ્થિત મામલતદાર કચેરી ખાતે ધરણા પ્રદર્શન કરી અન્નજળનો ત્યાગ કરી ઉપવાસ પર ઉતર્યા છે. જ્યાં સુધી પાક નિષ્ફળની સહાયમાં 4 હજારની જગ્યાએ 6800 ની જાહેરાત નહિ કરે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતના ઉપવાસ પર ઉતર્યા છે.

સાંતલપુર તાલુકાના ખેડૂતોએ પાક વીમા પણ ભર્યા છતાં આજ સુધી પાક વિમાની સહાય તો મળી જ નથી. પરંતુ સરકાર દ્વારા જે પાક સહાયની જાહેરાત કરવામાં આવી તેમાં વિસંગતતાના કારણે માત્ર 4 હજારની સહાય આપવામાં આવી છે. જે સહાય લેવાનો ખેડૂતોએ ઇનકાર કર્યો છે. જે 4 હજારની સહાયની સામે 6800 રકમની સહાય મળે તોજ લેશું, તેવી 72 ગામના ખેડૂતો અને ખેડૂતો સાથે 30 ગામોના સરપંચો પણ અચોક્કસ મુદ્દતના ઉપવાસ આંદોલન માં જોડાયા છે.

(5:33 pm IST)