બોરસદના બોદાલ ગામે લાકડા ગોઠવવા ગયેલી એક સગીરા કુવામાં પડતાં મોત
બોરસદ: તાલુકાના બોદાલ ગામે આજે સાંજના સુમારે લાકડા ગોઠવવા ગયેલી એક સગીરા કુવામાં પડતાં તેણીનુ ડુબી જવાને કારણે મોત થયું હતુ. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર અંબાવથી આસોદર તરફ જવાના માર્ગ ઉપર આવેલા બોદાલ ગામના ખેતરમાં રહેતી એક ૧૭ વર્ષની યુવતી ઉર્મિલાબેન જયંતિભાઈ પઢિયાર સાંજના સુમારે ઘર પાસે આવેલા કુવાએ લાકડા ગોઠવવા ગઈ હતી. દરમ્યાન તેણીનો પગ લપસી પડતાં તે કુવામાં પડી હતી જેથી ઘરના સભ્યો તેમજ આસપાસ રહેતા લોકો દોડી આવ્યા હતા અને તુરંત જ આણંદ ફાયરબ્રીગેડ, ૧૦૮ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ફાયરબ્રીગેડની ટીમે કલાકોની જહેમત બાદ કુવામાંથી ઉર્મિલાબેન પઢિયારની લાશને શોધી કાઢીને બહાર કાઢી હતી. પોલીસે લાશનો કબ્જો લઈને પીએમ માટે સરકારી હોસ્પીટલ ખાતે મોકલી આપી હતી.