વડોદરાના લાલબાગ બ્રિજ નીચેના દબાણો ફરીથી દૂર કરાયા
વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ હટાવ ટીમે આજે માંજલપુર તરફ બ્રિજ ઉતરતા ડાબી બાજુએ કાંસ પર ફરી બની ગયેલા ઝૂંપડાના દબાણો તોડી પાડયા હતાં. જેના કારણે કોર્પોરેશન અને પોલીસના અધિકારી સાથે ઝૂંપડાવાસીઓને ઘર્ષણ થયું હતું.કોર્પોરેશને અગાઉ બજાણિયાવાસ તરીકે ઓળખાતી આ જગ્યા પર દબાણો હટાવ્યા હતા અને ફરી અહીં દબાણો ઉભા થતા કોર્પોરેશને ત્રાટકીને તોડી નાંખ્યા હતાં. અહી હાઇસ્પીડ રેલ કોર્પોરેશનની ઓફિસ બનવાની છે. આજે દબાણો તૂટતા અને જગ્યા ખાલી થતા રેલવેએ જગ્યા પર પતરા ઉભા કરવાનું શરૃ કરી દીધું હતું.ઉલ્લેખનીય છે કે આજે સવારે સિટિ સર્વે કચેરી, કોર્પોરેશન અને પોલીસની ટીમો બજાણીયાવાસ પહોંચી ગઇ હતી. ત્યાંના રહીશો દ્વારા બે દિવસની મુદતની માંગણી કરાઇ હતી જો કે તંત્ર દ્વારા ઇન્કાર કરાતા આખરે દબાણ કરનારાઓ દ્વારા સામાન ખસેડવાની શરૃઆત કરાઇ હતી. બાદમાં સાંજે કોર્પોરેશનની દબાણશાખાના બુલડોઝર દબાણો પર ફરી વળ્યા હતાં. આ સમયે કેટલાક બાળકો બુલડોઝર પર ચડી ગયા હતાં. જો કે વિરોધ વચ્ચે જમીન સમતળ કરી દેવાઇ હતી.