ગુજરાત
News of Thursday, 10th October 2019

મને ચૂપ કરાવવા માટે તત્પર વિપક્ષીઓએ આ કેસ કરાવ્યો : કોંગ્રેસ કાર્યકર્તાઓનો રાહુલ ગાંધીએ આભાર વ્યક્ત કર્યો

સુરત એરપોર્ટ પર કોંગ્રેસના નેતાઓ દ્વારા સ્વાગત : મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર માટે રવાના

સુરત : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિના એક કેસ અંતર્ગત સુરતની કોર્ટમા હાજર થયા હતા. જે અંગેની વધુ સુનાવણી 10 ડિસેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે. ત્યારે આ મુદ્દે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી વિરોધીઓ પર નિશાન સાધ્યું છે. રાહુલે ટ્વીટમાં કહ્યું કે તેમને ચૂપ કરાવવા માટે તત્પર વિપક્ષીઓએ આ કેસ કરાવ્યો છે. સાથે જ તેઓએ સુરતના કોંગ્રેસ કાર્યકર્તાઓનો પણ આભાર વ્યક્ત કર્યો છે.

  કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની સુરત કોર્ટમાં પેશી થઈ છે. કોર્ટમાં રાહુલ ગાંધીને તેનું નામ, સરનામુ પૂછવામાં આવ્યુ. કોર્ટમાં જજે ગુનો કબૂલ છે કે નહી તે અંગે સવાલ કરવામાં આવ્યો. ત્યારે રાહુલ ગાંધીએ પોતાનો ગુનાની કબૂલાત ન આપી. આ કેસ મામલે આગામી 10મી ડિસેમ્બરે સુનાવણી હાથ ધરાશે.

  આ પહેલા રાહુલ ગાંધીનુ સુરત એરપોર્ટ પર કોંગ્રેસના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ, રાહુલ ગાંધી વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. રાહુલ ગાંધીની મુલાકાત લઈને કોર્ટ પરિસર પોલીસ છાવણીમાં ફેરવાયું હતુ. સુરત કોર્ટના મેઈન ગેટ પર કોંગ્રેસના બેનર લગાડવામાં આવ્યા. કોર્ટ પ્રીમાઈસીસ હોવા છતાં રાહુલ ગાંધીના બેનર લગાડવામાં આવ્યાં હતા .

  કોર્ટમાં હાજરી આપ્યાં બાદ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર માટે રવાના થશે. લોકસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધીએ એક સભામાં એવી ટકોર કરી હતી કે નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી બધા ચોર લોકોની અટક મોદી કેમ હોય છે? તેમના આ વિધાન સામે એક અરજી સુરતની કોર્ટમાં થઈ હતી. આ વિધાન સમગ્ર મોદી સમાજનું અપમાન કરે છે એવી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલે કોર્ટે રાહુલ ગાંધીને 10 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવાનું સમન્સ પાઠવ્યું હતું. જુલાઇમાં થયેલી સુનાવણી વખતે કોર્ટે રાહુલ ગાંધીને સુનાવણીમાં સદેહે હાજર થવામાંથી મુક્તિ આપી હતી. પરંતુ આજે તેમને કોર્ટમાં હાજર થવું પડશે.

(2:45 pm IST)