સુરત - મહેસાણા - અમદાવાદ સહિત રાજ્યભરમાં દારૂના ઠેર ઠેર દરોડા
રાજસ્થાનના મુખ્યમંત્રીના વિવાદસ્પદ નિવેદનની અસર કે બીજુ કંઈ ? ૭ દિવસ સુધી સ્પેશ્યલ ડ્રાઈવનો પોલીસ વડાનો તાકીદનો આદેશ : પોલીસ કમિશ્નર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ દ્વારા એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર. મુલીયાણાની રાહબરીમાં ૧૦ ટીમો મેદાને ઉતારીઃ મહેસાણામાં અધધધ રકમનો મુદ્દામાલ કબ્જે
રાજકોટ, તા. ૧૦ :. તાજેતરમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોટે 'ગુજરાતમાં ઘરે ઘરે દારૂ પીવાય રહ્યાનું' વિધાન કરી વિવાદનો મધપુડો છેડયા બાદ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આવુ નિવેદન રાજસ્થાનના મુખ્યમંત્રીએ દારૂ પીધા બાદ આપ્યાનું જણાવી વાતાવરણમાં ગરમાવો લાવ્યો પરંતુ ગુજરાતમાં દારૂબંધી હોવા છતા ટ્રકના ટ્રકો દારૂના પાડોશી રાજ્યોની સરહદોથી ઘુસી રહ્યા બાબતે મોટા ભાગના લોકો સહમત છે, ત્યારે રાજ્ય સરકારે ભલે જાહેરમાં પોતાનો બચાવ કર્યો પરંતુ ગાંધીનગરથી રાજ્યના પોલીસ વડા દ્વારા તમામ પોલીસ કમિશ્નરો-એસપીઓ વિગેરેને ૭ દિવસ સુધી સતત દારૂ અંગેની સ્પેશ્યલ ડ્રાઈવ ચલાવવા આપેલ આદેશને પગલે સુરત, મહેસાણા સહિત ગુજરાતભરમાં ઠેર ઠેર દારૂના દરોડાઓનો દોર શરૂ થયો છે.
સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ડીજીપીના આદેશથી સ્ટેટ કંટ્રોલ દ્વારા બહાર પડાયેલ આદેશમાં કરેલ કાર્યવાહીની જાણ ડીજીપી ઓફિસને કરવા સાથે બેદરકારી જણાયે સ્ટેટ મોનીટરીંગ સેલ સીધા દરોડા પાડશે તેવી ચિમકી પણ અપાયાનું સૂત્રો જણાવી રહ્યા છે.
દરમિયાન સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ મહેસાણા પોલીસે ૮૦ લાખથી વધુનો મુદ્દામાલ વિદેશી દારૂ સાથે ઝડપી લેતા બુટલેગરોની દુનિયામાં સન્નાટો મચી ગયો છે.
સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ નવનિયુકત પોલીસ કમિશ્નર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટે ઉચ્ચ અધિકારીઓની મીટીંગ કરી સુરતમાં કોઈ જગ્યાએ દારૂ ન વેચાવો જોઈએ તેવી તાકીદ કરવા સાથે સુરત ક્રાઈમ બ્રાંચના એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર. મુલીયાણાના માર્ગદર્શનમાં ૧૦થી વધુ ટીમો બનાવી ઠેર ઠેર દરોડા પાડવાનું શરૂ કર્યાનું બહાર આવેલ છે. સૂત્રોમાંથી સાંપડતા વિશેષ નિર્દેશ મુજબ અંદાજે ૧૫૦ જેટલા સ્થળોએ દરોડાઓ પાડવામાં આવ્યા છે અને ૧૦૦થી વધુ ગુન્હાઓ દાખલ થયા છે.
ગણતરીના કલાકોમાં જ સુરતના પાંડેસરા, ખટોદરા તથા સચિન જીઆઈડીસી વગેરે સ્થળોએ પોલીસ ત્રાટકી છે. અમદાવાદના છારાનગર વગેરે વિસ્તારમાં પણ ડીસીપી નિરજ બડગુજર ટીમો દ્વારા દારૂના દરોડાની ઝુંબેશ વધુ ગતિશીલ બનાવ્યાનું બહાર આવ્યુ છે. આમ રાજ્યભરમાં એક સપ્તાહ સુધી સતત આ દરોડાઓ ચાલુ રહેવાના હોવાનું બહાર આવ્યુ છે.