વરસાદનાં વિરામ બાદ રોગચાળાએ કહેર વર્તાવ્યો: ડેન્ગ્યુથી એક જ દિવસમાં ત્રણ લોકોના મોત : અનેક માંદગીનાં ખાટલે
વલસાડ,જામનગર અને રાજકોટમાં ડેન્ગ્યુથી મોત : મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં જબરો વધારો
અમદાવાદ : સમગ્ર રાજ્યમાં વરસાદે વિરામ જાહેર કરી દીધો છે. ભારે વરસાદને ઠેરઠેર પાણી ભરાઇ જાતા તમામ શહેરોમાં રોગચાળાએ માજા મુકી છે અને ઘરે ઘરે માંદગીનાં ખાટલા જોવા મળી રહ્યા છે. સ્વચ્છ પાણીમાં પાંગરતા ડેગ્યુનાં મચ્છરોનો ઉપદ્વવ આતંક સમો જોવામાં આવી રહ્યો છે.
વલસાડમાં ડેન્ગ્યુથી એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ડેન્ગ્યુનો રિપોર્ટ પોઝિટીવ આવતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ડેન્ગ્યુના આતંકથી આરોગ્ય વિભાગ સતર્ક થયું છે.
જામનગરમાં ડેન્ગ્યુથી વધુ એકનું મોત નિપજતાં આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ હતી. જામનગરના સરદાર નગર વિસ્તારમાં રહેતા 23 વર્ષીય યુવાનનું મોત નિપજ્તા પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે જી.જી હોસ્પિટલમાં ડેન્ગ્યુનાં 60 જેટલા પોઝિટીવ કેસ નોંધાય છે.
વરસાદ બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજકોટમાં રોગચાળો બેકાબુ બન્યો છે. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાય રહ્યાં છે. મલેરિયા, ડેન્ગ્યું જેવા કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ડેન્ગ્યુના કારણે સેન્ટ મેરી સ્કૂલના એક વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. વિદ્યાર્થીના પરિવારમાં શોકની લાગણી ફરી વળી છે.