ગુજરાત
News of Wednesday, 9th October 2019

બર્થડેટ, નામ અને અટકમાં ડીઇઓ સુધારા કરી શકશે

વિદ્યાર્થી-વાલીઓ આંનદો : કોર્ટ ચક્કરથી મુક્તિ : વિદ્યાર્થીઓના શાળા છોડ્યાના પ્રમાણપત્રોમાંની નોંધોમાં ફેરફારોની સત્તા સ્થાનિક જિલ્લા શિક્ષણાધિકારીને અપાઈ

અમદાવાદ, તા.૯ : ગુજરાતી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારનાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા બહુ મહત્વનો નિર્ણય લેવાયો છે. જે મુજબ હવેથી ધોરણ-૧૨ સુધીના વિદ્યાર્થીઓ પણ પોતાનું નામ તથા અટક અને જન્મ તારીખમાં સુધારો સ્થાનિક જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએથી જ કરાવી શકશે. અત્યાર સુધી આવો સુધારો વર્તમાન જોગવાઈ મુજબ ધોરણ ૧૦ની પરીક્ષા બાદ કરાવી શકાતો ન હતો. જેના કારણે વિદ્યાર્થીઓ કે વાલીઓને કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડતા હતા અને બહુ મોટી હાલાકીનો ભોગ બનવુ પડતુ હતું. પરંતુ હવે રાજયભરના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે બહુ આનંદના સમાચાર આવ્યા છે કે, ડીઇઓ કક્ષાએથી જ હવે જન્મતારીખમાં વિદ્યાર્થીના નામ, અટક સહિતના જરૂરી સુધારા શકય બની જશે. સરકારના પરિપત્રમાં જણાવ્યા અનુસાર, વિનિમય ૧૨(ક)(૬)ની જોગવાઇ ધ્યાને લીધી હતી. આ અંગે ગુજરાત શિક્ષણ બોર્ડના સભ્ય ડો. પ્રિયવદન કોરાટે જણાવ્યું હતું કે, કેટલાય કિસ્સાઓમાં મહિલાઓ વિધવા થતી હોય છે અને આવી મહિલાઓ ફરીથી લગ્ન પણ કરતી હોય છે. આવા કિસ્સાઓ ફરીથી લગ્ન કરેલી મહિલાના બાળકો કે જે ધોરણ ૧૧ અથવા તો ધોરણ ૧૨માં અભ્યાસ કરે છે તેઓ પોતાની અટક નામ કે જન્મ તારીખમાં સુધારો કરી શકતા નહોતા.

           આવી સ્થિતિને કારણે આવા બાળકોને ભારે અન્યાય થતો હતો અને સામાજિક તથા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. તો આ સિવાય પણ ઘણીવાર વિદ્યાર્થીઓના નામ, જન્મતારીખ કે અટકમાં ભૂલથી ખોટી વિગતો લખાઇ ગઇ હોય તો સુધારા કરવા ભારે મુશકેલભર્યુ કામ બની રહેતુ હતુ. કારણ કે, આવા સુધારા માટે કોઇ સરળ જોગવાઇ નહી હોવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડતાં હતા અને બહુ જટિલ પ્રક્રિયામાંથી પસાર થવુ પડતુ હતુ પરંતુ હવે, વિદ્યાર્થીઓનાં નામ અટકમાં ફેરફાર અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ધોરણ- ૧૨ સુધી વિદ્યાર્થીઓનાં નામ, અટક અને જન્મ તારીખમાં લિવિંગ સર્ટિફિકેટમાં ફેરફાર કરવાની સત્તા સ્થાનિક જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપવામાં આવી છે.

પરિપત્રમાં જણાવ્યા અનુસાર વિનિમય ૧૨(ક)(૬)ની જોગવાઇ ધ્યાને લેતાં વિદ્યાર્થી ખરેખર શાળામાં હાલ ધો.૯ થી ૧૨ પૈકી કોઇપણ ધોરણમાં અભ્યાસ ચાલુ હોય તેવા કિસ્સામાં શાળા છોડ્યાના પ્રમાણપત્રમાંની નોંધોમાં ફેરફાર કરવાની સત્તા સ્થાનિક જિલ્લા શિક્ષણાધિકારીને રહેશે. અગાઉ આ કામગીરી માટે પૂરતા પુરાવા સાથે કોર્ટમાં જવું પડતું હતું. કોર્ટના ઓર્ડર બાદ ડીઈઓ તેમાં ફેરફાર કરી આપતા હતા. જેમાં છથી બાર  મહિનાનો સમયગાળો લાગતો હતો.

(9:12 pm IST)