વલ્લભકુળના મિલ્કત વિવાદમાં સેજલ દેસાઈ અને સમા શાહના જામીન નામંજૂર
ઈન્દિરાબેટીજીનું મકાન 82 લાખમાં વેચી મારનાર ત્રિપુટી પૈકી બંને સેવિકા જેલ હવાલે
વડોદરા :વલ્લભકુળમાં સર્જાયેલા મિલકત વિવાદમાં ધરપકડ કરાયેલી સેજલ દેસાઇ અને સમા શાહ નામની બંને સેવિકાઓના જામીન નામંજુર થયા છે. બંને સેવિકાને જેલ હવાલે કરી દેવાઇ છે.
વૈષ્ણવ સંપ્રદાયમાં ચકચાર મચાવનાર આ કેસ મુજબ માંજલપુર હવેલી પાછળ આવેલું ઇન્દિરાબેટીજીનું મકાન રૂપિયા 82 લાખમાં બારોબાર વેચી મારનાર ત્રિપુટી પૈકી સમા શાહ અને સેજલ દેસાઇની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી હતી.આ સમગ્ર મામલામાં કમળાબહેન લાડે પોલીસ કમિશનરને સમા શાહ, સેજલ દેસાઇ અને ધર્મેશ મહેતા વિરૂધ્ધ છેતરપિંડીની અરજી આપી હતી.જે અરજીની તપાસ ક્રાઇમ બ્રાંચે શરૂ કરીને સમા શાહ, સેજલ દેસાઇ અને દિલ્હીમાં રહેતા ધર્મેશ મહેતાની પ્રથમ દ્રષ્ટીએ સંડોવણી જણાઇ આવતા ક્રાઇમ બ્રાંચે ત્રિપુટી સામે ગુનો દાખલ કર્યો હતો.જે અંતર્ગત સમા શાહ અને સેજલ દેસાઇની ધરપકડ કરી હતી.