પરપ્રાંતીયો પર હુમલામાં ઠાકોર સેનાનો હાથ નથી:અલ્પેશ ઠાકોરે લખ્યો નીતિશ કુમાર અને યોગી આદિત્યનાથને પત્ર
ગુજરાતમાં જે કંઇ પણ થઇ રહ્યું છે તે રાજકીય રંગ આપવા માટે કરાઈ રહયું છે
અમદાવાદ : રાજ્યમાં પરપ્રાંતિયો મુદ્દે ગરમાયેલી રાજનીતિ વચ્ચે અલ્પેશ ઠાકોરે યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને બિહારના સીએમ નીતિશકુમારને પત્ર લખ્યો છે. અલ્પેશે બંને મુખ્યપ્રધાનોને લખેલા પત્રમાં જણાવ્યું છે કે તેઓ ગુજરાતમાં થયેલા બનાવોને લઇને ચિંતિત છે. આ ઘટનામાં ઠાકોર સમાજને બદનામ કરવામાં આવી રહ્યો છે. પરંતુ પરપ્રાંતિયો પરના હુમલામાં ઠાકોર સમાજનો હાથ ન હોવાની સ્પષ્ટતા પણ અલ્પેશ ઠાકોરે પત્રમાં કરી છે
અલ્પેશે જણાવ્યું કે ગુજરાતમાં જે કંઇ પણ થઇ રહ્યું છે તે રાજકીય રંગ આપવા માટે કરવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પરપ્રાંતિયો પર સતત થઇ રહેલા હુમલાને કારણે ફફડી ઉઠેલા પરપ્રાંતિયો પોતાના વતનમાં હિજરત કરી રહ્યા છે. મોટા ભાગના પરપ્રાંતિયો યુપી અને બિહારના રહેવાસી છે. ત્યારે યોગી આદિત્યનાથ અને નીતિશ કુમારે સીએમ રૂપાણીને તેમના રાજ્યોના વતનીઓને સલામતી પૂરી પાડવા અપીલ કરી છે.