ગુજરાત
News of Wednesday, 10th August 2022

વડોદરા:માણેજા ક્રોસિંગ નજીક વહેલી સવારે અકસ્માતમાં પત્નીનું મૃત્યુ નિપજતા આઘાતમાં પતિનું કરુણ મોત

વડોદરા:માણેજા ક્રોસિંગ પાસે ચાલતા જતા વૃદ્ધાને વાહન ચાલકે અડફેટે લેતા તેઓને ગંભીર ઇજા થતા મોત નિપજ્યું હતું.પત્નીના મોતની જાણ થતા  પતિને આઘાત લાગતા તેઓનું પણ મોત નિપજ્યું છે.એક  જ દિવસમાં માતા - પિતાનું છત્ર ગુમાવનાર પરિવાર પર દુખનો પહાડ તૂટી પડયો છે. માણેજા ક્રોસિંગ પાસે  પવિત્ર ટાઉનશિપમાં રહેતા વાસુદેવભાઇ ઘનશ્યામભાઇ અમીન (ઉ.વ.૬૪) ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા.અને હાલમાં નિવૃત્ત જીવન ગુજારે છે.તેમના પત્ની સુશીલાબેન (ઉ.વ.૬૧) હાઉસ વાઇફ છે.આજે સવારે નિત્યક્રમ મુજબ, સુશીલાબેન સવારે ઘરેથી ચાલતા નીકળી નજીકમાં આવેલા મહાદેવ મંદિરે દર્શન કરવા જતા હતા.તે સમયે જીજી માતાના મંદિરથી માણેજા ક્રોસિંગ તરફ  આવતા એક બાઇક ચાલકે તેઓને ટક્કર મારતા માથામાં ગંભીર ઇજા થઇ હતી.બાઇક ચાલકે સ્થળ પર ઉભા  રહીને એમ્બ્યુલન્સ બોલાવી હતી.ઇજાગ્રસ્ત સુશીલાબેનને સારવાર માટે સૌપ્રથમ નજીકની ખાનગી હોસ્પિટલમાં અને ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં લઇ  જવામાં આવ્યા હતા.પરંતુ,ગંભીર ઇજાના કારણે ટૂંકી સારવાર બાદ તેઓનું મોત નિપજ્યું હતું. સુશીલાબેનના મોતની જાણ તેમના પતિ વાસુદેવભાઇને કરવામાં આવતા તેઓને અચાનક ગભરામણ શરૃ થઇ હતી.અને બેભાન થઇને ઢળી પડયા હતા.પત્નીના અચાનક મોતના પગલે આઘાત લાગતા વાસુદેવભાઇનું  પણ મોત નિપજ્યું હતું.એક જ ઘરમાં બે વ્યક્તિઓના મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.સુશીલાબેનના પુત્રની ફરિયાદના આધારે પોલીસે બાઇક ચાલક શિવરાજ તીલોતમા બોરાહ (રહે.વ્રજધામ ટેનામેન્ટ, માણેજા) સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ  ધરી છે

(5:00 pm IST)