સુરતના સચિન જીઆઈડીસીમાં અગમ્ય કારણોસર પત્નીએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કરતા અરેરાટી મચી જવા પામી
સુરત : સચિન જીઆઇડીસીમાં સોમવારે એક પરિણીતાએ ગળે ફાંસો ખાવાથી પતિ ખાનગી હોસ્ટિલમાં લઇ ગયો હતો. જ્યાં ડોકટરો પત્નીને મૃત જાહેર કર્યા બાદ ગભરાઇ ગયેલો પતિ મૃત હાલતમાં પત્નીને છોડીને જતો રહ્યો હતો. નવી સિવિલથી મળેલી વિગત મુજબ સચિન જીઆઇડીસીમાં ઉન ખાતે તિરૃપતિ નગરમાં રહેતી ૨૨ વર્ષીય રાજકુમારી રાજેશ સહાનીએ સોમવારે સાંજે પતિ બહાર ગયો હતો. ત્યારે રાજકુમારીએ ઘરનો દરવાજો અંદરથી બંધ કરીને હુક સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો. પાડોશીઓને જાણ થતા ત્યાં ભેગા થઇ ગયા હતા અને દરવાજો તોડયો હતો. એટલામાં તેનો પતિ પણ આવી જતા રાજકુમારીને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો. પણ ડોકટરે મૃત જાહેર કરી હતી. જેને કારણે ડરી ગયેલો પતિ રાજેશ મૃતદેહને ત્યાં જ મુકીને હોસ્પિટલમાંથી જતો રહ્યો હતો. પોલીસને જાણ કરાતા સચિન જીઆઇડીસી પોલીસે મૃતદેહ નવી સિવિલમાં ખસેડયો હતો. પરિણીતાને સંતાનમાં ૬ માસની બાળકી છે. દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા.મૂળ બિહારની રાજકુમારીની માસિક બીમારીની સારવાર ચાલી રહી હતી. તેને લીધે આ પગલું ભર્યાની શક્યતા છે. પતિ કલરકામ કરે છે. પણ તે ગભરાઇને ભાગી ગયો છે. તેની પુછપરછ અને તપાસ બાદ અન્ય હકીકત બહાર આવશે.