ગુજરાત
News of Friday, 10th August 2018

તાંત્રિક વિધિના બહાને સુરતના રુસ્તમપુરાની પરિણીતા તેમજ સગાસંબંધીઓ પાસેથી 45 તોલા સોનાની ઉઠાંતરી કરવામાં આવી

સુરત: રૂસ્તમપુરા વિસ્તારની પરિણિતા અને તેના સગાંસબંધીઓને તાંત્રિક વિધિ કરી દાગીના વધુ પ્રમાણમાં બનાવી આપવાનું જણાવી અમદાવાદના તાંત્રિકે ૪૫ તોલા સોના-ચાંદીના દાગીના અને રોકડા રૂ. ૨.૧૨ લાખ પડાવ્યા હતા. તેમજ પરિણીતાને પુત્ર સાથે  ભગાડી જઇ અમદાવાદ-વડોદરામાં ગોંધી રાખી બળાત્કાર ગુજારી તાંત્રિક ફરાર થઇ ગયો હતો. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના રૂસ્તમપુરા વિસ્તારમાં રહેતી ૩૫ વર્ષીય પરીણિતાનું પિયર અમદાવાદ ખાતે આવેલું છે. તેના પિયરીયાઓએ સવા વર્ષ અગાઉ કહ્યું હતું કે, અમદાવાદ ખાનપુર કલ્યાણી બાગ સાવજુદ્દીનની દરગાહ પાસે રહેતો ૬૦ વર્ષીય તાંત્રિક સૈયદ હબીબુલ્લા હાજેફતે મોહંમમદ તાંત્રિક વિધિ કરી સોના-ચાંદીના દાગીનાને વધુ પ્રમાણમાં બનાવી આપે છે. આથી પરિણીતા તાંત્રિકને મળી હતી. તાંત્રિકે પરિણીતાને જણાવ્યું હતું કે, તે જે સોના-ચાંદીના દાગીના તેને આપશે તે  એક ઘડામાં મુકી કપડું વિંટાળી બંધ કરશે અને રોજ તાંત્રિક વિધિ કર્યા બાદ ૪૦ દિવસ બાદ ખોલશે ત્યારે દાગીના વધુ પ્રમાણમાં બની જશે પરંતુ જો ૪૦ દિવસ અગાઉ ઘડો ખોલશે તો તમામ દાગીના રાખ થઇ જશે. તાંત્રિકની વાત માની પરિણિતાએ પોતાના તેમજ સગાસંબંધીઓના આશરે ૪૦થી ૪૫ તોલા સોનાના ચાંદીના દાગીના અને રોકડા રૂ. ૨.૧૨ લાખ તાંત્રિકને વિધિ માટે આપ્યા હતા.
 

(5:06 pm IST)