૧૫% ગુજરાતી મહિલાઓ અને બાળકો મેદસ્વીતાનો શિકાર
પુરૂષો કરતાં મહિલાઓમાં સ્થૂળતાનું પ્રમાણ વધુ
અમદાવાદ તા. ૧૦ : શહેરી વિસ્તારોમાં બદલાયેલી જીવનશૈલીના કારણે ૧૫્રુ બાળકો અને ૧૫% મહિલાઓ મેદસ્વીતાથી પીડાય છે તેવો દાવો ડોકટર્સ કર્યો છે. આ આંકડા ગુરુવારે શહેરના બારીઆટ્રિક કિલનિકની ટીમ દ્વારા શેર કરવામાં આવ્યા છે. શહેરના બારીઆટ્રિક સર્જન ડો. મહેન્દ્ર નરવરિયાએ જણાવ્યું કે, રાષ્ટ્રીય કક્ષાએ થયેલા સ્ટડીમાં બહાર આવ્યું છે કે ગુજરાતની ૧૬.૫ ટકા વસ્તી સ્થૂળ છે.
ડો. મહેન્દ્ર નરવરિયાએ કહ્યું કે, 'પુરૂષો કરતાં મહિલાઓમાં સ્થૂળતા વધારે હોવાનું કારણ કસરત ન કરવી અને પ્રેગ્નેન્સી બાદ વધેલું વજન હોઈ શકે છે. બાળકોમાં પણ મેદસ્વીપણું ઝડપથી વધી રહ્યું છે. આજે બારીઆટ્રિક સર્જરી માટે આવતા ૧૮ વર્ષથી નીચેના બાળકોની સંખ્યા ૫ વર્ષ પહેલા હતી તેના કરતાં વધી છે.' ડો. નરવરિયા શહેરમાં ૯થી ૧૧ ઓગસ્ટ દરમિયાન આયોજિત બારીઆટ્રિકસ અને મેટાબોલિક સર્જરીના કોર્સની ૩જી ફેલોશિપના ઓર્ગેનાઈઝિંગ ચેરમેન છે.
દેશભરમાંથી આશરે ૧૫૦ જેટલા ડોકટર્સે આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે. કાર્યક્રમમાં ૪ આંતરરાષ્ટ્રીય અને ૪૦થી વધુ રાષ્ટ્રીય ફેકલ્ટી ડિસિપ્લિનના વિવિધ પાસાઓ અંગે વાત કરશે. પોર્ટુગલના ફેકલ્ટી અને MGB (મેથડ ઓફ મિની ગેસ્ટ્રીક બાયપાસ)ના સંશોધક ડો. રૂઈ રિબેરીઓએ કહ્યું કે, 'સર્જરીની મેથડ અંગે પેશન્ટની સ્થિતિ જોઈને નક્કી કરવામાં આવે છે. હાલની સારવાર પ્રક્રિયામાં મેં એક નવું સ્ટેપ ઉમેર્યું છે, જેનાથી દર્દી દ્વારા કરવામાં આવતી પિત્તની ફરિયાદ દૂર થશે. પોર્ટુગલ જેવા દેશમાં દર વર્ષે ૩૦૦૦ બારિઆટ્રિક સર્જરી થાય છે.'