ગુજરાત
News of Friday, 10th August 2018

બનાસકાંઠાના આદિવાસી દાદીએ ૧૪ દિવસમાં કરી ૯૭,૦૦૦ની કમાણી

રાજ્ય સરકાર હસ્તક ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલા તિમરૂના પાનના ઓકશનથી

વડોદરા તા. ૧૦ : ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર આવેલા આદિવાસી વિસ્તારમાં રહેતા ૭૫ વર્ષના ગોબરીબેન વાડેરા માટે તો ૯ ઓગસ્ટનો દિવસ દીવાળી બની ગયો હશે અને તે પણ એવી દીવાળી જે તેમના આટલા વર્ષમાં કયારેય નહીં જોઈ હોય. જયાં હજુ સુધી પૂર્ણરુપે આધુનિક સગવડો પણ નથી પહોંચી તેવા અંતરિયાળ ગામમાં રહેતા ગોબરીબેનને ગઈકાલે તેમણે કરેલા ૧૪ દિવસના કામ માટે ૯૭૦૦૦ રુપિયાનો ચેક આપવામાં આવ્યો. આ સાથે જ હવે દસકાઓથી તેમના કુટુંબની પાક્કા મકાનની ઇચ્છા પૂરી થશે તેવું તેમને લાગી રહ્યું છે.

 

દસકાઓથી તેઓ અને તેમના પરિવારના ૮ સભ્યો સાંબરકાંઠાના વિજયનગર તાલુકાના જંગલોમાં આવેલ એક નાનકડા આદિવાસી ગામમાં જર્જરીત કાચ્ચા ઝુપડામાં રહે છે. જોકે રાજય સરકા હસ્તક ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન(GSFDC) દ્વારા કરવામાં આવેલ તિમરૂના પાનના ઓકશનથી વાડેરાને રૂ.૯૬,૭૨૮ની કમાણીનો ચેક ગુરવારે સોંપવામાં આવ્યો. મહત્વપૂર્ણ છે કે ગુરુવારે વિશ્વ મૂળનિવાસી દિવસ પણ હતો ત્યારે વાડેર માટે આ દિવસની આનાથી મોટી કઈ ગિફટ હોઈ શકે.

તમને જાણીને નવાઈ લાગશે કે પોતાની આ જૈફ વયે પણ વાડેરાએ તિમરૂ પત્તાને ભેગા કરવા માટે આદિવાસી પટ્ટાના આ જંગોલમાં અનેક રઝળપાટ્ટ કરી છે અને ૧૪ આદિવાસી જિલ્લાઓ પૈકી સૌથી વધુ તિમરુ પાન એકઠા કર્યા છે. સાંબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ગામમાં યોજવામાં આવેલ ખાસ કાર્યક્રમ દરમિયાન ડે.સીએમ નીતિન પટેલ દ્વારા તેને પોતાની જાતમેહનતની કમાણીનો ચેક અર્પણ કરવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે આ રુપિયા તેને ગત વર્ષે માત્ર ૧૪ દિવસ કામ કરવાના મહેનતાણા પેટે મળ્યા છે. વાડેરા પરિવાર અહિંના જંગલ અને પર્વતો પર કુદરતી રીતે ઉગી નીકળતા તિમરુ પાનને ભેગા કરવાનું કામ કરે છે. આ પાન વર્ષમાં માંડ એક મહિના માટે ઉગે છે અને તેને ચૂંટવાની સીઝન ફકત ૧૫-૨૦ દિવસની જ હોય છે. અંતે આ રૂપિયા ગોબરીબેનની પાક્કા મકાનની ઇચ્છા પૂરી કરશે. તેમણે કહ્યું કે, 'હું બધા માટે વર્ષોથી પાક્કુ મકાન બને તેવું ઇચ્છતી હતી. આ પૈસાથી અમે પાક્કી છતવાળું મકાન બનાવીશું.'

ગોબરીબેનનો પુત્ર અને પૌત્ર બંને મકાઈની ખેતી કરે છે. જેના દ્વારા તેઓ પરિવારનું ગુજરાન ચલાવી શકે તેટલું તો કમાઈ લે છે પણ આટલી મોટી રકમ તો તેમને પણ કયારેય લાઇફમાં એક સાથે જોઈ નથી. વાડેરાનો ૨૫ વર્ષનો પૌત્ર દીપક કહે છે કે, 'મકાઈની ખેતી સારુ વળતર આપે છે પણ તેના માટે ખૂબ જ તનતોડ મહેનત દિવસ રાત કરવી પડે છે. પરંતુ વર્ષમાં માત્ર ૧૪ દિવસ કામ કરવું અને તેના આટલા બધા રૂપિયા મળે તે તો અમે કયારેય કલ્પ્યું જ નહોતું.' વાડેરાના ઘરમાં દીપક જ એક માત્ર એવો વ્યકિત છે જે મોબાઈલ રાખે છે અને તે પણ ખૂબ જ સાદો મોબાઇલ.

તિમરુના પાન બીડી બનાવવામાં વપરાય છે. પાછલા ૨ વર્ષથી આ પાને અહીં વસતા ૩૩,૦૯૨ આદિવાસી પરિવારનું જીવન પરિવર્તન કરી દીધું છે. વાડેરા પણ તેમાંથી એક છે. GSFDCના મેનેજિંગ ડિરેકટર અનિલ જોહરીએ કહ્યું કે, 'અમને કહેવામાં આવ્યું હતું કે વનપેદાશ પર નભતા લોકોના કલ્યાણ અને જીવનધોરણ ઉપર આવે માટે તેમની પેદાશનો સૌથી વધુ ફાયદો તેમને જ મળે અને તમામ વચેટિયાઓ નાબૂદ થાય જેને અમે સફળતપૂર્વક કરીને બતાવ્યું છે અને ભવિષ્યમાં પણ આ પ્રમાણે જ કામ કરતા રહીશું.'

તો આ રીતે જ આ જંગલ પટ્ટામાં મહિસાગર જિલ્લાના કડાણા તાલુકામાં રહેતો અનિલ ખાંટે(૨૨) પણ તિમરૂ પાન ભેગા કરીને રૂ.૮૧,૦૮૦ જેટલી બમ્પર કમાણી કરી છે. તેણે કહ્યું કે, શ્નમારી લાઇફમાં કયારેય આટલી મોટી રકમ મને મળી જ નથી એટલે મે તો કોઈ પ્લાન જ બનાવી નથી રાખ્યા કે આ રુપિયાનું હું શું કરીશ.લૃ

તિમરુ પાનના વેચાણથી આદિવાસી જ નહીં GSFDCને પણ રેકોર્ડ બ્રેકિંગ રુ.૬૦.૩૫ કરોડની કમાણી થઈ છે. પાછલા ત્રણ વર્ષમાં રાજય સરકાર હસ્તકની આ કંપનીની રોયલ્ટી લગભગ ડબલ થઈ ગઈ છે. જયારે પહેલા આ પીરિયડમાં સંસ્થા ૨૫દ્મક ૩૦ કરોડ જેટલું કમાતી હતી. ઓકશન માટેનો તમામ ખર્ચ બાદ કર્યા પછી પ્રોફિટના રૂ.૩૯.૬૭ કરોડ તમામ ૩૩,૦૦૦ આદિવાસી પરિવારો વચ્ચે વહેંચી દેવામાં આવ્યા છે.(૨૧.૧૦)

(11:35 am IST)