ગુજરાત
News of Friday, 10th August 2018

મગફળી કાંડથી કોંગ્રેસનો કૌભાંડી ચહેરો સપાટી પર

જીતુભાઈ વાઘાણીના કોંગ્રેસ પાર્ટી પર તીવ્ર પ્રહારોઃ વાઘજીભાઈ બોડા કોંગ્રેસમાં નથી જ તો તેમને કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યાનું શા માટે જાહેર કર્યું : વાઘાણીનો પ્રશ્ન

અમદાવાદ, તા. ૯: ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ નાફેડના ચેરમેન વાઘજી બોડાએ કોંગ્રેસમાંથી આપેલ રાજીનામા બાબતે જણાવ્યું હતું કે, મગફળીકાંડ દ્વારા ફરી એક વખત કોંગ્રેસનો કૌભાંડી ચહેરો પ્રજા સમક્ષ ખુલ્લો પડ્યો છે. કોંગ્રસના વિપક્ષના નેતા હમણા સુધી એવું કહેતા હતા કે વાઘજી કોંગ્રેસમાં નથી તો હવે વાઘજીભાઈએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યાનું શા માટે જાહેર કર્યું. વાઘજીભાઈ બોડા ત્રણ-ત્રણ વખત કોંગ્રેસમાંથી વિધાનસભા ચૂંટણી લડી ચુક્યા છે અને ગઇકાલ સુધી તેઓ કોંગ્રેસના આગેવાન અને સભ્ય હતા અને જેની ધરપકડ થઇ છે તે રોહિત બોડા તેનો ભત્રીજો છે. તેજ રીતે જેની ધરપકડ થઇ છે તે મગન ઝાલાવાડિયા પણ કોંગ્રેસનો આગેવાન છે અને પડધરી તાલુકા પંચાયતનો કોંગ્રેસ તરફથી પ્રમુખ પણ રહી ચુક્યો છે.  આમ આ મગફળીકાંડનો રેલો કોંગ્રેસના જ નેતાઓ સુધી પહોંચવાનો હોય તેથી પ્રજાની આંખમાં ધૂળ નાંખવા અનએ કોંગ્રેસના નેતાઓને બચાવવા માટે વિપક્ષના નેતાએ ઉપવાસનું તરકટ કર્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૃપાણી અને કૃષિમંત્રી ફળદુએ શરૃઆતથી જ મગફળી બાબતે તપાસના આદેશો આપેલા હતા અને નાફેડના ચેરમેનને પણ પોલીસ ફરિયાદ કરવા માટે રાજ્ય સરકારે અનેકવાર કહ્યું હોવા છતાં નાફેડ દ્વારા કોઇ પગલા લેવાયા નહી. મગફળી ખરીદીની આખી પ્રક્રિયામાં નોડલ એજન્સી તરીકે મુખ્ય જવાબદારી નાફેડની હતી. મગફળીની ખરીદી, પૈસાની ચુકવણી, ગોડાઉન ભાડે રાખવા, મગફળીની ગુણવત્તાની ચકાસણી આ બધી જવાબદારી નાફેડની હતી તેમ છતાં નાફેડના ચેરમેન વાઘજી બોડાએ કેમ કોઇ કાળજી ન લીધી કે પોલીસ ફરિયાદ ન કરી. મીડિયામાં જે ઓડિયો ક્લિપ ફરે છે તેમાં પણ મગન ઝાલાવાડિયા સ્પષ્ટરીતે કહેતો સંભળાય છે. ગુજરાત સરકાર કડક પગલા લેવા જઈ રહી છે તે અટકાવવા મંત્રીઓને લામ કરો. નાફેડ સાથે બધુ ગોઠવાઈ ગયું છે. નાફેડને અમે સંભાળી લઇશું. નાફેડના ચેરમેન વાઘજી બોડાનો ભત્રીજો રોહિત બોડા આપણી સાથે છે.

(10:14 pm IST)