ગુજરાત
News of Friday, 10th August 2018

રાહુલ ગાંધીના આદેશ બાદ યુથ કોંગ્રેસ દ્વારા નફરત છોડો, દેશ બચાવો રેલી યોજાશેઃ કાલે સાબરમતી આશ્રમથી પ્રસ્‍થાનઃ ગુજરાત-રાજસ્‍થાન-હરિયાણા થઇને દિલ્‍હી પહોંચશે

અમદાવાદઃ દેશમાં વધી રહેલી નફરત દૂર કરવા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપેલા આદેશ બાદ યુથ કોંગ્રેસ દ્વારા નફરત છોડો દેશ બચાવો રેલીનું આયોજન કરેલું છે. રેલીની શરૂઆત ગુજરાતથી કરવામાં આવશે. ગુરૂવારે યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય  નેતાઓની હાજરીમાં કોચરબ આશ્રમથી સાબરમતી આશ્રમ સુધી પદયાત્રા યોજાશે. 10 ઓગસ્ટે સવારે સાબરમતી આશ્રમથી યાત્રાનું પ્રસ્તાન થશે. રાજસ્થાનના જે બંન્ને સ્થળોએ લિન્ચિંગની ઘટનાઓ બની હતી તે જગ્યાએ પણ યાત્રા જશે અને પરિવારજનો સાથે મુલાકાત કરશે

યાત્રાનો મુખ્ય હેતુ દેશમાંથી નફરત દૂર કરી ગાંધીજીના માર્ગે આગળ વધવાનો છે અને માટે ગુજરાતમાંથી યાત્રીની શરૂઆત કરવામાં આવી રહી છે. યાત્રા અંગે યુથ કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા દેશમાં ભય અને નફરતનું વાતાવરણ ફેલાવવામાં આવી રહ્યું છે. તેના વિરોધનો સંદેશ રાહુલ ગાંધીએ સંસદમાં આપ્યો હતો અને હવે તેમના આદેશથી દેશમાં ફેલાયેલી નફરતને વિરોધમાં યાત્રા યોજાઇ રહી છે

ગુજરાત યુથ કોંગ્રેસના પ્રભારી સીતારામ લાંબાએ કહ્યું કે, ભારત દેશની હજારો વર્ષોની સભ્યતામાં ક્યારેય નફરત ફેલાઇ નથી. બુદ્ધ અને મહાવિરે શાંતિનો સંદેશ આપ્યો હતો. મહાત્મા ગાંધીએ પણ સત્ય અને અહિંસાના પૂજારી રહ્યાં હતા. ત્યારે આજે દેશમાં ફેલાયેલી નફરતના માહોલ સામે લડવાની જવાબદારી યુવાનોની છે. જેને લઈને શાંતિ અને ભાઈચારો ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે યાત્રા નીકળશે. તેમણે ઉમેર્યું કે ભારત છોડો આંદોલનના દિવસે નફરત છોડો યાત્રા શરૂ થશે અને યાત્રા માટે રાહુલ ગાંધીને આમમંત્રણ આપવામાં આવ્યું છે. યાત્રા ગુજરાત, રાજસ્થાન, હરિયાણા થઈ દિલ્હી પહોંચશે. સપ્ટેમ્બરમાં કન્યાકુમારીથી લઈ કાશ્મીર સુધી અન્ય યાત્રા પણ યોજાશે

(6:36 pm IST)