ગુજરાત
News of Friday, 10th August 2018

દરેક સ્ત્રીએ આત્મવિશ્વાસ સાથે આર્થિક રીતે આત્માનિર્ભર બનવું જોઈએ, વ્યાવસાયિક મહિલાઓ વધારે સુખી હોય છે કારણકે તેમના જીવનમાં એક લક્ષ્ય હોય છે. જેના જીવનમાં ધ્યેયનો તેમજ અન્યોને મદદરૂપ થવાની ભાવનાનો અભાવ છે તેવા જીવનનો કોઈ મતલબ નથીઃ અમદાવાદમાં ટ્વિંકલ ખન્ના સાથે વાર્તાલાપ

અમદાવાદ: 'યંગ ફિક્કી લેડિઝ ઓર્ગેનાઇઝેશન' (વાયફ્લો) અમદાવાદ ચેપ્ટર દ્વારા એક ભવ્ય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતી અભિનેત્રી, લેખિકા, અને ફિલ્મ નિર્માતા ટ્વિકંલ ખન્ના સાથે ખાસ વાર્તાલાપ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો અને વાયફ્લો ના સભ્યોએ પ્રસંગે હાજરી આપી હતી.
પ્રસંગે ટ્વિકંલ ખન્નાએ પોતાના જીવન પ્રસંગો અને અનુભવો દર્શકો સાથે શેર કર્યા હતા, તેઓએ મહિલા સશક્તિકરણ પર પણ ભાર મુક્યો હતો, તેમજ દર્શકોના સવાલોના જવાબો આપ્યા હતા. ટ્વિકંલ ખન્નાએ જણાવ્યું કે, "મારુ પુસ્તક 'મિસિસ ફનીબોન્સ' મારી કોલમ પર આધારિત છે, જેમાં એક આધુનિક સ્ત્રીનો ભારતીય સમાજ પ્રત્યેનો દ્રષ્ટિ કોણ કેવો છે અને તે સામે ભારતીય સમાજનો આધુનિક સ્ત્રી પ્રત્યેનો દ્રષ્ટિકોણ કેવો છે, તેના વિશેની વાતો છે.

ટ્વિકંલ ખન્નાએ વધુમાં જણાવ્યુ કે દરેક સ્ત્રીએ આત્મવિશ્વાસ સાથે આર્થિક રીતે આત્માનિર્ભર બનવું જોઈએ, વ્યાવસાયિક મહિલાઓ વધારે સુખી હોય છે કારણકે તેમના જીવનમાં એક લક્ષ્ય હોય છે. જેના જીવનમાં ધ્યેયનો તેમજ અન્યોને મદદરૂપ થવાની ભાવનાનો અભાવ છે તેવા જીવનનો કોઈ મતલબ નથી."
વાયફ્લોના ચેરપર્શન શ્રિયા દામાણી જણાવ્યુ કે " ટ્વિકંલ ખન્ના બહુમુખી પ્રતિભા અને વિશેષ વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ છે, તેમની સાથેનો વાર્તાલાપ અમારા યુવા મહિલા વ્યાવસાયિકોને તેમના વ્યવસાયમાં અગ્રેસર રહેવામાં માટે પ્રેરણા આપશે, શહેરી મહિલાઓ માટે તેઓ એક આદર્શ છે."
ઉલ્લેખનીય છે કે, વાયફ્લો યુવા મહિલા ઉદ્યોગ સાહસિકો અને મહિલા વ્યાવસાયિકો તૈયાર કરવાનું તેમજ તેઓના વિકાસ માટે યોગ્ય માર્ગદર્શન અને તકો પુરી પાડવાનું મહત્વ પૂર્ણ કાર્ય કરે છે. માટે 'વાયફ્લો' વિવિધ ઉદ્યોગ, વ્યવસાય અને મહિલાઓના આર્થિક અને સામાજિક વિકાસ માટે સેમિનાર, તાલિમ, જાગૃતિ અભિયાન વગેરેનું આયોજન કરે છે.

(6:06 pm IST)