ખેડા જિલ્લા તાલુકા મથક ઠાસરા નજીકથી પસાર થતી મહી કેનાલમાં બે યુવાનો હાથપગ ધોવા જતા ડૂબી જતા મોતને ભેટ્યા
ખેડા:જિલ્લાના તાલુકા મથક ઠાસરા નજીકથી પસાર થતી મહી કેનાલમાં આજે બે યુવાન ખેતમજૂરો ડૂબી ગયા છે. મોડી રાત સુધી કામગીરી ચાલુ હોવા છતાં તેમના મૃતદેહો તંત્રને મળ્યા નથી. પટેલના ખેતરમાં ડાંગરની રોપણીનું કામ કરતા આ મજૂરો બપોરના સમયે હાથપગ ધોવા જતા મૃત્યુ પામ્યા છે.
ઠાસરા તાલુકાના ડાભસર ગામ નજીકથી પસાર થતી મહી કેનાલમાં આજે બપોરે આ બે યુવાનો ડૂબ્યા છે. જેની સીલસીલાબંધ વિગતો એવી છે કે ડાભસર નજીક આવેલા મોટા કોતરીયા ગામના બે યુવાનો ખેતમજૂરી કરવા માટે આજે સવારથી ડાભસર આવ્યા હતા. અને ડાંગરની રોપણીનું કામ કરતા હતા. એક જ પરિવારના આ બે યુવાનો નામે ભરતસિંહ બાબુભાઇ પરમાર, ઉં. ૧૬ અને અજયસિંહ ગણપતસિંહ પરમાર, ઉં.૧૭ બપોરે રોપણીનું કામ પતાવીને નજીકમાં આવેલી મુખ્ય મહી કેનાલમાં પાણી પીવા અને હાથપગ ધોવા ગયા હતા.