કોરોનાના દર્દીના સંબંધીઓએ Tocilizumab ઇન્જેક્શન માટે સુરત સિવિલમાં ધરણા કર્યા
સુરતમાં હવે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. સુરતમાં કેસ વધતા આરોગ્ય અગ્ર સચિવ ડૉક્ટર જયંતી રવિ સુરતની મુલાકાતે આવ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ સુરતની મુલાકાતે આવ્યા હતા. સુરતમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે કોરોનાના દર્દીના સગા સંબંધીઓએ સિવિલ હોસ્પિટલમાં ડીનની ઓફીસની બહાર ધરણા કરીને વિરોધ નોંધાવ્યો હતો. દર્દીના પરિવારના સભ્યોને ડૉકટર દ્વારા કોરોનાના દર્દીની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા રેમડેસિવીર અને tocilizumab ઇન્જેક્શન લખી આપવામાં આવ્યા હતા. આ ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલ સિવાય કોઈ પણ જગ્યા પર ન મળતું હોવાના કારણે દર્દીના પરિવારના સભ્યોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
દર્દીના પરિવારના સભ્યો સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન લેવા ગયા ત્યારે RMOએ કહ્યું હતું કે, ઉપરથી આદેશ હોવાના કારણે આ ઇન્જેક્શન સિવિલના દર્દીઓને આપવા માટે કહેવામાં આવ્યું હતું. RMOનો જવાબ સાંભળીને દર્દીના સંબંધીઓ રેમડેસિવીર અને tocilizumab ઇન્જેક્શન મેળવવા માટે સિવિલ હોસ્પિટલમાં સુપરિન્ટેન્ડેન્ટની ઓફિસની બહાર ધરણા પર બેસી ગયા હતા. દર્દીના પરિવારના સભ્યોએ ઇન્જેક્શન ન મળે તો આરોગ્ય અગ્ર સચિવ ડૉક્ટર જયંતી રવિને બોલાવવાની માંગણી કરી હતી