અમદાવાદમાં એક જ એપાર્ટમેન્ટમાં 22 સભ્યો કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં ભારે દોડધામ
આખાય એપાર્ટમેન્ટને તંત્ર દ્વારા ક્વોરન્ટાઇન કરી દેવાયો: સોસાયટીના તમામને ઘરમાં જ રહેવા સૂચના
અમદાવાદઃ રાજ્યમાં કોરોના સંક્રમણે કહેર મચાવતા સતત પાંચેક દિવસથી પોઝિટિવનો આંકડો 700ને પાર જતો જાય છે. એવામાં અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરનાં ગિરધરનગર ખાતે આવેલા જુલી એપાર્ટમેન્ટમાં કોરોનાનાં 22 કેસ મળી આવ્યાં છે જેના કારણે આખાય એપાર્ટમેન્ટને તંત્ર દ્વારા ક્વોરન્ટાઇન કરી દેવાયો છે. એક જ સોસાયટીમાં આટલા બધા કેસ આવતા તંત્રમાં ભારે દોડધામ મચી ગઇ છે. હાલમાં આ સોસાયટીનાં તમામ સભ્યોને પોતાનાં ઘરમાં જ રહેવા માટે તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે.
બીજી બાજુ અમદાવાદનાં ગોતા વિસ્તારમાં પણ એક જ પરિવારનાં 10 લોકો સંક્રમિત થયાં છે જેમાં 10 પૈકી 3 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં અનલોક-2 જાહેર થઇ ગયા બાદ ગુજરાતમાં દિવસે ને દિવસે સતત કોરોના સંક્રમણનાં કેસ વધતા જઇ રહ્યાં છે. જો કે અમદાવાદમાં કેસો થોડાં ઘટી રહ્યાં છે જ્યારે સુરતમાં કેસો વધી રહ્યાં છે.