મુંબઇના આધ્યાત્મિક લેખક-વકતા ડો. પ્રકાશભાઇ ગજ્જરનું અવસાન
રાજકોટ, તા. ૧૦ : મુંબઇમાં છેલ્લા પચ્ચીસેક વર્ષથી અનેક સામાજિક સંસ્થાઓમાં યોગ અને અધ્યાત્મ વિષેનાં મનનીય પ્રવચનો દ્વારા અસંખ્ય શ્રોતાઓને ઉમદા માર્ગદર્શન પુરૂ પાડનાર ડો. પ્રકાશભાઇ ગજ્જરનું તાજેતરમાં જ અમદાવાદ મુકામે ૮૯ વર્ષની જૈફ વયે નિધન થયું છે.
તેમનું મુળ વતન કડી તાલુકામાં કોલાદ. તેઓ માનવ મનની અગાધ શકિત વિષે થીસીસ લખી પીએચ.ડી. કર્યુ હતું અને ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષો સુધી પ્રશિક્ષણનું કાર્ય કરી અનેક વિદ્યાર્થીઓને પ્રેરણાનાં પિયુષ પાયાં છે.
જાણીતાં સામાયિક જનકલ્યાણ કિસ્મત, ધર્મસંદેશ વગેરેમાં ૪૦ વર્ષ સુધી લેખો આપતા રહ્યા. તેમણે ૧૦૦ થી વધારે પુસ્તક પુસ્તિકા પ્રકાશિત કર્યા છે. મુંબઇના તેમના અનેક વાંચકો શ્રોતાઓ અને ચાહકોને તેમના દુઃખદ નિધનથી ઉંડા શોકની લાગણી અનુભવી છે.